• ગુરુવાર, 19 જૂન, 2025

બે લાખનું 15 દિવસનું વ્યાજ 40 હજાર !

ભુજ, તા. 18 : ગરજવાનો મોં માગ્યા વ્યાજથી રૂપિયા લીધા બાદ આ વ્યાજના વિષચક્રમાં સપડાયાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ભુજના એક શખ્સને નાણાંની જરૂરત હોતાં રૂા. બે લાખ 40 ટકાના વ્યાજે લીધા... 15 દિવસે 40 હજાર વ્યાજ ચૂકવતો... ટુકડે-ટુકડે 12.50 લાખની રકમ સામે તેણે 33.68 લાખ ચૂકવવા છતાં પઠાણી ઊઘરાણી થતાં બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતાં આ કામના બંને આરોપીને એલસીબીએ ઝડપી લીધા છે. આ અંગે ગઈકાલે બી-ડિવિઝન પોલીસ મથકે સુરલભિટ્ટ રોડ, અંજલિનગરમાં રહેતા માહીર અબ્દુલગફુર સમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સવા વર્ષ પૂર્વે ફરિયાદીને રૂપિયાની જરૂરત પડતાં તેણે દરકાશ જાનમામદ ગગડા (રહે. લખુરાઈ ચાર રસ્તા ભુજ)નો સંપર્ક કરી તેની પાસેથી રૂા. બે લાખ 40 ટકાના વ્યાજે લીધા હતા અને દર 15 દિવસે 40,000 વ્યાજ આપવાનું નક્કી થયું હતું. રૂપિયાના બદલામાં ફરિયાદીની કાર ગિરવી લઈ લીધી હતી. ફરિયાદી પાસે વ્યાજ ચૂકવવાના પૈસા ન હોતાં મિત્રો પાસેથી ઉધાર લઈ વ્યાજ ચૂકવતો અને આ ઉધાર લીધેલાં નાણાં પરત આપવા ફરી વધારાનાં નાણાં વ્યાજે લીધાં, આમ વ્યાજના વિષચક્રમાં ફસાયાની વિગતો ફરિયાદમાં લખાવી છે. ફરિયાદી પાસે વ્યાજ ભરવાના પૈસા નહોતાં ગત તા. 3/1/25ના તે ભુજિયા ડુંગર ઉપર આત્મહત્યા કરવાના ઈરાદે ગયો હતો અને તેણે આરોપી દરકાશના ભાઈ અકબર અબ્દુલ મિયાત્રા (રહે. લખુરાઈ ચાર રસ્તા પાસે, ભુજ)ને ફોન કરી બધી વાત કરતા અકબરે તેને આશ્વાસન આપ્યું કે, હું દરકાશને સમજાવીશ તું મારી પાસે આવ. ફરિયાદી અકબર પાસે જતાં ત્યાં દરકાશને બોલાવતાં દરકાશે ફરિયાદીને ગાળો આપવા લાગ્યો અને અકબરે હિસાબ પૂછતાં તેણે કહ્યંy કે, 25 લાખ મૂડી અને 24 લાખ વ્યાજ ચડત હોવાનું કહેતાં ફરિયાદીએ કહ્યંy આટલી મૂડી નથી અને વ્યાજ ફક્ત એક મહિનાનું જ બાકી છે. આથી અકબરે પણ ઉશ્કેરાઈ ગાળાગાળી કરી કહ્યું કે, રૂપિયા આપવા પડશે, નહીંતર જાનથી મારી નાખશું. આમ પઠાણી ઊઘરાણીથી ત્રસ્ત ફરિયાદીએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન આજે આ ફરિયાદના નાસતા-ફરતા બંને આરોપી દરકાશ અને અકબરને એલસીબીએ ઝડપી લઈ બી-ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd