ભુજ, તા. 18 : વરસાદી માહોલને લઇને વીજ કરંટે
બે શખ્સના ભોગ લીધાના કરુણ બનાવ સામે આવ્યા છે. ગઇકાલે ભુજના લખુરાઇ ચાર રસ્તા પાસે
20 વર્ષીય યુવાન રફીક ઉમર કુંભારને
વીજશોક લાગતાં અને આજે રણકાંધી હાજીપીરની લેબર કોલોનીમાં દીવાલને અડતાં જ 33 વર્ષીય ફાગુ હરિરામ વિશ્વકર્માને
લાગેલો વીજળીનો જોરદાર આંચકો તેને ભરખી ગયો હતો. ભુજોડી પાસેના વર્ધમાનનગરમાં રહેતી
મૂળ મહારાષ્ટ્રની 40 દિવસ પૂર્વે
જ પરણેલી 20 વર્ષીય નવવધૂ પ્રતિક્ષા વિલાસ
પૂકવેએ અને મિરજાપરમાં 67 વર્ષીય પ્રૌઢ
બિહારીલાલ વેલજી મૈચાએ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. ભુજના લખુરાઇ ચાર રસ્તા
પાસે નાગોર રોડ બાજુ રહેતા અને મજૂરીકામ કરતા ઉમર સિધિક કુંભારે બી-ડિવિઝન પોલીસ મથકે
વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેમનો યુવાન પુત્ર રફીક ગઇકાલે રાત્રે તેમના રહેણાક વિસ્તારમાં જ સાલેમામદ
કુંભારના ઘર સામે હતો ત્યારે ઇલેક્ટ્રિક થાંભલા પાસે વીજ કરંટ લાગ્યો હતો, આથી રફીકને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે
મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજીતરફ
રણકાંધી હાજીપીરમાં આર. એસ. કંપનીની લેબર કોલોનીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક ફાગુ વિશ્વકર્મા
આજે સવારે તેમના ઘરની દીવાલને અડતાં વીજ કરંટ લાગ્યો હતો. તેના બનેવી મહેશ તેને સારવાર
અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વરસાદી
વાતાવરણના કારણે દીવાલમાં કરંટ વહેતો હોવાના લીધે ફાગુને વીજશોક લાગ્યાની વિગતો હોસ્પિટલની
પોલીસ ચોકીના ચોપડે મહેશે લખાવી હતી. બીજીતરફ મૂળ મહારાષ્ટ્રના સોલાપુર બાજુના
હાલે માધાપર નવાવાસ વર્ધમાનનગરમાં રહેતા અને 40 દિવસ પૂર્વે જ પરણેલી નવપરિણીતા પ્રતીક્ષાબેન વિલાસ પૂકવેએ ગઇકાલે
કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં તેના પતિ
તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી છાનબિન હાથ ધરી છે. આ ઉપરાંત ભુજ સમીપે
મિરજાપર રહેતા બિહારીલાલ મૈચાએ પણ ગઇકાલે સવારે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા
પર દોરી બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ
લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.