ભુજ, તા.18 : કચ્છ જેવા દુર્ગમ પ્રદેશના
ખેડૂતો પાસે આધુનિક કૃષિ સંશોધનો પહોંચે તે જરૂરી છે અને તે માટે નાબાર્ડ જેવી સંસ્થાઓ
સાથે ઉદ્યોગગૃહે, ખાનગીક્ષેત્રની
ભાગીદારી આજના સમયની આવશ્યકતા હોવાનું ફર્ટિલાઈઝર એસોસીએશન ઓફ ઈન્ડિયા (એફએઆઈ)ના મહાનિર્દેશક
અને આઈસીએઆરના પૂર્વ નાયબ મહાનિર્દેશક ડો. એસ.કે. ચૌધરીએ કાઝરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુકમાની મુલાકાત
દરમ્યાન જણાવ્યું હતું. ડો. ચૌધરીએ કાઝરી અને કેવીકેની કામગીરી નિહાળી હતી અને ખાસ
કરીને કાંટાવિહોણા થોરને વૈકલ્પિક પશુ આહાર તરીકે પ્રચારિત કરવા સહિતની પ્રવૃત્તિને
બિરદાવી હતી. કાઝરી-કેવીકેના વડા ડો. મનીષ કંવટે ડો. ચૌધરીને આવકારી સંસ્થાની વિવિધ
પ્રવૃત્તિ પર પ્રકાશ પાડયો હતો. તેમણે કાઝરી-કેવીકેના વિવિધ પ્રોજેક્ટની ખેતી અને ખેડૂતો
પર પડેલી સકારાત્મક અસરની પણ માહિતી આપી હતી. પ્રયોગશીલ ખેડૂત અગ્રણી, અને આઈસીએઆર સંચાલક સમિતિના પૂર્વ સભ્ય મનોજભાઈ સોલંકીએ કચ્છની કૃષિનાં ક્ષેત્રમાં
કાઝરી-કેવીકેનાં યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે કુકમા સ્થિત કાઝરી અને કેવીકેના વિકાસમાં
ડો. ચૌધરી અને આઈસીએઆર-કાઝરીના નિર્દેશક ડો. ઓ.પી. યાદવનાં માર્ગદર્શનને ઉપયોગી લેખાવ્યું
હતું. ડો. ચૌધરીએ પરિસરમાં નિર્માણાધીન કેવીકેની વહીવટી ઈમારતની મુલાકાત લીધી હતી અને
નવી સુવિધા ટૂંકસમયમાં કાર્યરત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાઝરીના વૈજ્ઞાનિક એમ.
સુરેશ કુમારે ડો. ચૌધરીને પૂરક વિગતો આપી હતી અને તેમની કચ્છ મુલાકાતથી કાઝરી અને કેવીકેની
ટીમને નવી પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું.