લેર (હનુમાનજી) (તા. ભુજ),
તા. 18 : કચ્છના 11 ગામે નવી નંદી શાળા શરૂ કરવાના
સંકલ્પ સાથે આજે અહીં ત્રણ દિવસથી ચાલતા ગૌસેવા સંગમ મહોત્સવનું સમાપન થયું હતું. નારાયણ
નંદી શાળાના ઉદ્ઘાટન સાથે ઉપસ્થિત સૌએ ગૌવંશ સેવા કરવાની નેમ વ્યક્ત કરી હતી. ગોરસિયા
સેવા ફાઉન્ડેશન, ગિરધરભાઇ પીંડોરિયાના નિમંત્રણથી
ગૌસેવા ગતિવિધિ કચ્છ દ્વારા આયોજિત આ કાર્યક્રમના ત્રીજા દિવસે સવારે ગૌશાળા સંચાલકોનું
સંમેલન મળ્યું હતું જેને નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રના મેઘજીભાઇ હીરાણીએ સંબોધન કર્યું
હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગાય, ગૌવંશના
ઉદ્ધાર સિવાય હવે કશો ઉપાય રહ્યો નથી. આ તકે ગૌશાળા સંચાલકોએ આ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી
કરનાર વ્યક્તિ-સંસ્થાઓનું સન્માન કરાયું હતું. અયોધ્યાથી આવેલા રામદાસજી સ્વામીએ ગાયના
મુદ્દાને આંદોલન સ્વરૂપે ઉપાડી લેવા આહવાન કર્યું હતું. ગાયોની ઘટતી સંખ્યા મુદ્દે
તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. બપોર બાદના સત્રમાં જાણીતા ગૌસેવક અને રામકૃષ્ણ ટ્રસ્ટના
મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનોજભાઇ સોલંકીએ સાચા ગ્રામ વિકાસની વ્યાખ્યા સમજાવી હતી. તેમણે
ભોગવાદી નહીં પણ યોગવાદી વિચારધારા અપનાવીને ..... શિક્ષણને તિલાંજલિ આપવા કહ્યું હતું.
ગૌપાલન, ખેતી, ગ્રામ ઉદ્યોગ, હસ્તકળાને તેમણે શ્રેષ્ઠ ઉદ્યોગ તરીકે વર્ણવ્યા હતા. ત્યારબાદ કચ્છના કર્મકાંડી
ભૂદેવો તેમજ ગૌ કથા તથા ભાગવત કથા કરતા 30 જેટલા બ્રાહ્મણ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે
સાથે ગ્રામ વિકાસ ક્ષેત્રે કાર્યરત ઉદ્યમીઓ, સંસ્થાઓ તેમજ ગામોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. બંને સત્ર દરમ્યાન
કથાકાર હિતેશભાઇ જોષીએ ગૌ કથા દરમ્યાન શાત્રોક્ત રીતે નંદી મહારાજના મહત્ત્વનું વર્ણન
કર્યું હતું. સમાપન સત્રમાં ગૌ સેવા ગતિવિધિના રાષ્ટ્રીય સંયોજક અજીતપ્રસાદ મહાપાત્રાએ
કહ્યું કે, ઓડિસામાં 235 નંદીની નંદી શાળાનો યોગાનુયોગ આજે પ્રારંભ કરાયો છે. તેમણે કહ્યું
કે, 8000 જેટલા ગૌવંશને
આજે કતલખાને જતા બચાવાયા હતા તે પૈકીના બળદોની અલગ શાળા શરૂ કરાઇ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણીએ જણાવ્યું કે, આ પ્રકારનો મહોત્સવ ગુજરાતભરમાં પ્રથમ છે ત્યારે
આવનારા દિવસોમાં રખડતા નંદીઓની સમસ્યા ઘટતી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં
મુંદરા-માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ
દેવજીભાઇ વરચંદ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઇ ઓઝા તેમજ
અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન ગોરસિયા સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી જાદવજીભાઇ
ગોરસિયાએ કર્યું હતું. રામપર વેકરા ગુરુકુળના દેવચરણ સ્વામીએ ભાવાત્મક શૈલીમાં રસાળ
સંચાલન કર્યું હતું. ઉપરાંત નારાણભાઇ વેલાણી, જીજ્ઞાબેન વેલાણીએ
સત્રોના સંચાલન કર્યા હતા. પરબતભાઇ ગોરસિયા, દીપક પટેલ વગેરે
સહિત સમગ્ર કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.