• ગુરુવાર, 19 જૂન, 2025

મોદીએ ટ્રમ્પને કહી દીધું; મધ્યસ્થી અસ્વીકાર્ય

નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર લગભગ 35 મિનિટ સુધી વાચતીત કરતાં ઓપરેશન સિંદૂર વિશે  જાણકારી આપી હતી. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામમાં મધ્યસ્થીના ટ્રમ્પના દાવાઓ વચ્ચે મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભારતે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતા સ્વકારી નથી અને કદી સ્વીકારશે પણ નહીં. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલા કોઈ પણ વિષયમાં વ્યાપાર સાથે સંબંધિત કોઈ પણ ચર્ચા કરી નથી. મોદીએ ભારપૂર્વક પુનરોચ્ચર કર્યો હતો કે, પાકિસ્તાનના કહેવા પર જ ભારતે યુદ્ધવિરામ કર્યો. ભારત કદી કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર નથી કરતું અને ભવિષ્યમાં પણ કદી કરશે નહીં. સાથોસાથ ભારતના વડાપ્રધાને એવું પણ ભારપૂર્વક કહ્યું હતુ કે, ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સીવોર (પડદા પાછળની લડાઈ) નહીં, પરંતુ સીધી યુદ્ધની કાર્યવાહી રૂપે જોશે. ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ જારી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદી તરફથી વિગતવાર કરાયેલી વાતોને સમજી હતી અને આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈને સમર્થન આપ્યું હતું. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બે નેતાઓ વચ્ચે વાતચીત અંગે જાણકારી આપી હતી. 22 એપ્રિલ બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ લડાઈનો દૃઢ સંકલ્પ દુનિયાને બતાવી દીધો. મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે, ભારતની કાર્યવાહી સમતુલિત, સટીક અને માત્ર આતંકવાદી સ્થાનો પર નિશાન સાધીને કરાઈ હતી. મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલા ફોન કોલની વિસ્તૃત જાણકારી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, મોદી અને ટ્રમ્પ વચ્ચે જી7 દરમિયાન મુલાકાત નક્કી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝડપથી પરત ફરવું પડયું હોવાથી મુલાકાત થઈ શકી નહોતી. ત્યારબાદ ટ્રમ્પના આગ્રહથી બન્ને લીડર્સ વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી. જે  અંદાજીત 35 મિનિટ ચાલી હતી. વિદેશ સચિવે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતનો હવાલો આપતા કહ્યું હતું કે મોદીએ ટ્રમ્પ સાથે ઓપરેશન સિંદૂર અંગે  વિસ્તારથી વાતચીત કરી હતી. ટ્રમ્પે કહેવામાં આવ્યું હતું કે 22 એપ્રિલ બાદથી ભારતે આતંકવાદ  સામેની કાર્યવાહી કરવાના પોતાના દૃઢ સંકલ્પને દુનિયાને બતાવી દીધો છે. 6-7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી છાવણીઓને જ નિશાન બનાવી હતી. ભારતે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાની ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે. સીઝફાયર અંગે કહેવાયું હતું કે મોદીને ઉપરાષ્ટ્રપતિ વેન્સે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત ઉપર મોટો હુમલો કરી શકે છે. જેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે જો હુમલો થશે તો પાકિસ્તાનને આકરો જવાબ અપાશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd