કુકમા (તા. ભુજ), તા.18 : અહીંના નિવૃત્તિ
આશ્રમના ગાદીપતિ અને સંત વાસુદેવદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં આજે તેમની પાલખીયાત્રા
બાદ સમાધિ આપવામાં આવી હતી. નિવૃત્તિ આશ્રમના મહંત ભાણદાસજી મહારાજ દેવલોક થતાં શિષ્ય
તરીકે વાસુદેવદાસજી મહારાજને ગાદીપતિ બનાવવામાં આવ્યા પછી અત્યાર સુધી અત્યંત સરળ સ્વભાવના
આ સંતે કુકમા અને આસપાસના વિસ્તારમાં ધાર્મિક કાર્યોને આગળ ધપાવ્યાં હતાં. આશ્રમના
ગાદીપતિ તરીકે કાર્યભાર સંભાળી તથા સેવાકીય કાર્યો આગળ વધાર્યાં હતાં. આશ્રમની તમામ
સેવાકીય પ્રવૃત્તિઓ તેમણે ચાલુ રાખી હતી. પૂ. વાસુદેવદાસજીનું પૂર્વાશ્રમે નામ વૃજલાલભાઈ
દામજીભાઈ ચૌહાણ અને સાધુ થયા પહેલા ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આમ તેઓ પણ સામાજિક સેવાની
પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થી હિતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. નિવૃત્તિ આશ્રમની તમામ
સેવાકીય પ્રવૃત્તિઓ તે ચલાવી રહ્યા હતા. દાતાઓના સહકારથી નિવૃત્તિ આશ્રમ ખાતે પૂ. ભાણદાસજીના
સમાધિસ્થળ પાસે હોસ્પિટલ બિલ્ડિંગનું નિર્માણ કરાવી અને ગામ તથા બહારગામના નબળા અને
વંચિત વર્ગો માટે મફત કહી શકાય તેવી વૈદકીય સેવા પણ શરૂ કરાવી હતી અને આ મેડિકલ સેવાની
પ્રવૃત્તિ નબળા વર્ગોમાં ખૂબ જ ઉપયોગી બની હતી. સમાજમા આધ્યાત્મિક અને સામાજિક વિકાસ
થાય તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહ્યા હતા. મહારાજનું આજેનિર્વાણ થયું હતું. વાસુદેવદાસજી
મહારાજ 44 વર્ષ સુધી નિવૃત્તિ આશ્રમના
ગાદીપતિ પતિ તરીકે રહ્યા હતા. નિર્વાણથી નિવૃત્તિ આશ્રમ કુકમાના ભક્ત સમુદાયમાં અને
સમગ્ર ગામમાં દુ:ખની લાગણી પ્રસરી હતી. તેમની પાલખીયાત્રા નિવૃત્તિ આશ્રમથી ગામના મધ્યમાંથી
થઈ અને સમાધિસ્થલી સુધી પહોંચી હતી. પાલખીયાત્રામાં તમામ સમાજના બહોળી સંખ્યામાં ભક્તજનો, નિવૃત્તિ આશ્રમ સાથે સંકળાયેલા શિષ્યો જોડાયા
હતા. કુકમા સ્થાનિકે ગ્રામજનો અને વેપારી મંડળે બપોર બાદ પોતાના રોજગાર ધંધા બંધ રાખી
અને પાંખી પાળી પાલખીયાત્રામાં જોડાયા હતા. વ્યવસ્થા નિવૃત્તિ આશ્રમના સ્વયંસેવકો દ્વારા
કરવામાં આવી હતી.