દયાપર (તા. લખપત), તા. 18 : તાલુકાના
સરહદી ગુનેરી ગામમાં બે દિવસથી સંદેશાવ્યવહાર, વીજળી પુરવઠો, પાણી પુરવઠો બંધ રહેતાં ગ્રામજનોને મુશ્કેલી
પડી રહી હોવાની ફરિયાદ ઊઠી છે. ગુનેરીના ઉપસરપંચ નરેન્દ્રસિંહ જાડેજા તથા ગ્રામજનોએ
કહ્યું હતું કે, થોડાઘણા ઝાપટાં - વરસાદમાં વીજળી ગુલ થઇ ગઇ છે.
બબ્બે મોબાઇલ ટાવર છે પણ વીજ પુરવઠો ગયા પછી બેટરી કે જનરેટર ચાલુ ન કરાતાં હોવાથી
સંદેશાવ્યવહાર પણ બંધ થઇ જાય છે. બીજી બાજુ અગ્રણી જશુભા જાડેજાએ પણ ગુનેરી,
સિયોત, મુધાન, અટડા,
સાંયરા, પુનરાજપર, ઉમરસર,
કોરિયાણી, કપુરાશી, છેર જેવા
20 ગામડાંઓમાં બે દિવસથી વીજપુરઠો
નથી. ગેટકોની હેવી લાઇન તૂટી જતાં અંધારપટની સ્થિતિ ઊભી થઇ છે. ગેટકોના કોઇ કોન્ટ્રાકટર
અહીં રહેતા નથી. અટડા-સિયોત વચ્ચે ગેટકોની હેવી વીજ લાઇન તૂટી જતાં પવનચક્કીના વીજરેષા
પર પડી હતી અને તે લાઇનને પણ નુકસાન થતાં સમારકામ કરવા ટીમ સ્થળ પર પહોંચી હતી અને
ગુનેરીમાં વીજ પુરવઠો તાત્કાલિક ચાલુ થાય તેવા સંકેત આપ્યા હતા.