• ગુરુવાર, 19 જૂન, 2025

બનાસકાંઠામાં પોલીસ અધિકારીના માતા-પિતાની હત્યા પાડોશીઓએ જ નીપજાવેલી

ગાંધીધામ, તા. 18 : બનાસકાંઠામાં એસએમસીના પી.આઇ.ના માતા-પિતાની હત્યા સાથે લૂંટના પ્રકરણમાં પાડોશીઓ જ આરોપી હોવાનું બહાર આવ્યું છે, દેવું વધી જતાં તેમજ તાંત્રિક વિધિ માટે હત્યા બાદ લૂંટ ચલાવનારા ચાર આરોપીને પોલીસે પકડી પાડયા હતા. બનાસકાંઠા લાખાણી તાલુકાના જશરા ગામે વર્ધાજી મોતીજી પટેલ તથા તેમના પત્ની દોશીબેનની ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી લૂંટારુઓએ મહિલાના પગ કાપી નાખ્યા હતા અને મકાનમાંથી લૂંટ ચલાવી નાસી ગયા હતા. સમગ્ર  રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવમાં સરહદી રેન્જના મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બનાસકાંઠા પોલીસ અધિક્ષક અભયરાજના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી નવ ટીમ બનાવાઇ હતી. આ ટીમોએ બનાવવાળી જગ્યાએ આવવા-જવાના માર્ગ ઉપર 80થી વધારે સીસીટીવી કેમેરા તપાસ્યા હતા તેમજ ઔદ્યોગિક એકમમાં 300થી વધારે લોકોની ઝીણવટપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસને કડી મળી હતી અને વર્ધાજીના મકાનથી 70 મીટર દૂર રહેતા સુરેશ શામળા પટેલ (ચૌધરી), તેના પિતા શામળા રૂપા પટેલ (ચૌધરી), સુરેશના મામા ઉમાભાઇ ચેલાજી પટેલ (ચૌધરી) તથા ભુવા એવા દિલીપજી મકાજી ઠાકોર ઉર્ફે ભુવાજી નામના શખ્સોને રાઉન્ડ-અપ કરી પૂછપરછ કરવામાં આવી હતી. સુરેશ પર દેવું વધી જતાં તેણે અને તેના પિતાએ એકલા રહેનાર વૃદ્ધ દંપતી ઉપર વોચ રાખી હતી અને બનાવની રાત્રે દંપતીની હત્યા પિતા-પુત્રે કરી હતી તેમજ તેના મામાએ અવાજ ન થાય તે માટે ત્યાં થ્રેશર મશીન (ટ્રેક્ટર) ચાલુ રાખ્યું હતું. આ શખ્સો દાગીનાની લૂંટ કરી ત્યાંથી નાસી ગયા હતા અને ભુવાજીના ઘરે દામા ખાતે જઇ લોહીવાળા કપડા ધોઇ નાખ્યા હતા અને ભુવાએ દાગીના ભરેલી પોટલી ઉપર મોડી રાત્રે વિધિ કરી હતી. આ વિધિ બાદ સવારે હત્યા, લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે પોલીસ તપાસ કરતી હતી, ત્યારે સુરેશ અને તેનો પિતા ત્યાં જ હાજર રહી પોતાને કાંઇ ખ્યાલ ન હોય તેમ ડોળ કરતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ ચારેયને પકડી પાડી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd