ભુજ, તા. 25 : આઠ વર્ષ પૂર્વેના શહેરની ગાંધીનગરીમાં
મારામારીના હુમલાના બનાવમાં અસ્થિભંગની ઇજાવાળા કેસમાં આરોપી પિતા અને બે પુત્રને
બે વર્ષની કેદ અને 30 હજારનો દંડ વળતર પેટે ફરિયાદીને આપવાનો ચુકાદો
ભુજની અધિક કોર્ટે આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા. 7-6-18ના
ભુજના ગાંધીનગરીમાં રહેતા ફરિયાદી મનીશભાઇ લુમ તિવારીને તેની બાજુમાં રહેતા આરોપીઓ
કાસમ જુમા જત અને તેના પુત્રો ઓસમાણગની તથા અબ્દુલમજીદે કહ્યું કે, તું અહીં કેમ રહે છે. ઘર છોડીને ચાલ્યો જા... કહીને ધકબૂશટનો માર માર્યા
બાદ ધોકા અને પાવડાના હાથા અને ત્રિકમ વડે માર માર્યો હતો. ફરિયાદીને હાથમાં
અસ્થિભંગની ઇજા પહોંચી હતી. આ બનાવમાં બી-ડિવિઝન પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ
કર્યો હતો. આ કેસમાં ત્રણે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો સાબિત થતાં કુલ
મળીને ત્રણે આરોપીને બે-બે વર્ષની સાદી કેદ અને ત્રણેને સંયુક્ત રીતે રૂા. 30 હજારનું
ફરિયાદીને થયેલી ઇજા અને આર્થિક નુકસાન બદલ વળતર ચૂકવવા ભુજના અધિક ચીફ જ્યુ.
મેજિ. કે.સી. જોશીએ ચુકાદો આપ્યો છે. ફરિયાદી પક્ષે મદદનીશ સરકારી વકીલ આર.આર.
પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી.