• બુધવાર, 02 જુલાઈ, 2025

કેરાના બેલગામ ધંધાર્થીનો 27.19 લાખનો શરાબ ફરી `કટિંગ' સમયે જ ઝડપાયો

ભુજ, તા. 1 : હજુ આઠેક દિવસ પૂર્વે જ રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ કેરામાં જડેશ્વર પાસે કુખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડનાં કટિંગ થતા શરાબના અધધધ 1.28 કરોડના જથ્થા સાથે વાહનો અને વાહનચાલકો, મજૂરો સહિત 16 આરોપીને ઝડપી લીધા હતા. આ બાદ મોરબી પોલીસે પણ કેરા આવતો અનોપસિંહનો દારૂનો જથ્થો ઝડપયો હતો અને ગઈકાલે રાતે ફરી માનકૂવા પોલીસે કેરામાં જડેશ્વર પાસે જ કટિંગ થતો રૂા. 27.19 લાખનો શરાબનો જથ્થો ઝડપ્યો હતો. જો કે પોલીસે દરોડો પાડતાં આરોપીઓ વાહન-શરાબનો જથ્થો મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. આમ આટલા દરોડા છતાં અનોપસિંહનો દારૂનો ધંધો બેફામ અવિરત રહ્યાનું સમજી શકાય છે.  ગઈકાલે રાત્રે થયેલી આ દરોડાની કાર્યવાહી અંગે માનકૂવા પોલીસે જાહેર કરેલી વિગતો અને નોંધેલી ફરિયાદ મુજબ ઈન્ચાર્જ પી. આઈ. પી. પી. ગોહિલની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કવોડના એ. એસ. આઈ. ઉપેન્દ્રસિંહ રાણા તથા કોન્સ. કિરણકુમાર પુરોહિતને સંયુક્ત બાતમી મળી હતી કે, કેરાની સીમમાં બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ પોતાના માણસો સાથે અંગ્રેજી પ્રકારનો જથ્થો મગાવી કટિંગ કરી દારૂની હેરફેરની પેરવીમાં છે. આ બાતમીના આધારે અડધી રાતે કેરાના ગજોડ રોડ પર જડેશ્વર સામે પડતર જમીન પાસે પહોંચી દરોડો પાડતાં પોલીસને દૂરથી જોઈ આરોપીઓ વાહનો-શરાબનો જથ્થો મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. આ દરોડામાં શરાબની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 2196 બોટલ જેની કિં. રૂા. 27,19,022, બોલેરો  પિકઅપ નં. જી. જે.-13-એએક્સ -2568 જેની કિં. રૂા. 7 લાખ એમ કુલ્લે રૂા. 34,19,022નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે માનકૂવા પોલીસે આરોપી અનોપસિંહ અભેસિંહ રાઠોડ (કેરા), માલ મોકલનાર, બોલેરોનો નાસી જનાર ચાલક તથા બોલેરો માલિક અને તપાસમાં જે ખૂલે તે તમામ વિરુદ્ધ પ્રો. એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. આ કામગીરીમાં પી. આઈ. શ્રી ગોહિલનાં માર્ગદર્શન હેઠળ એ. એસ. આઈ. ઉપેન્દ્રસિંહ, અજયસિંહ ઝનકાંત, હે. કો. જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી, વિનોદ ઠાકોર, કોન્સ. કિરણભાઈ પુરોહિત, મહેશભાઈ જાદવ, હે.કો. ડ્રાઈવર વિજયભાઈ ખાંટ જોડાયા હતા. - બેખોફ દારૂના ધંધાર્થીઓની લગામ કસવી અત્યંત જરૂરી : ભુજ, તા. 1 : કચ્છમાં શરાબની બદી ફૂલીફાલી છે. જો આટલા બધા દરોડામાં અઢળક દારૂ પક્ડાયો છે તો ન પકડાયેલા જથ્થાની માત્રા કેટલી ? આમ કચ્છમાં કરોડોનો શરાબ પીવાતો હોવાનું સ્પષ્ટ સમજી શકાય છે. પોલીસની ભ્રષ્ટ નીતિએ સર્જેલી આ બેકાબૂ સ્થિતિ કયાં જઇને અટકશે ? તેવા સવાલો જાગૃતો કરી રહ્યા છે. વર્ષોથી પોલીસને સાચવી કરોડો રૂપિયાનો દારૂનો ધંધો કેરાનો કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ કરી રહ્યો છે. અનોપસિંહ સામે અનેક  શરાબના કેસ છે. પાસા સહિતની કાર્યવાહી અને જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં બેઠે-બેઠે પણ પોતાનો આ બેનામી શરાબનો ધંધો અવિરત રાખ્યાના દાખલા મોજૂદ છે. આઠ-દસ દિવસ પૂર્વે એસ.એમ.સી.એ 1.28 કરોડનો જથ્થો કેરાથી જ ઝડપાયો હતો. આ બાદ કેરા આવતો તેનો જથ્થો મોરબી પાસેથી પકડયો હતો અને ગઇકાલે રાત્રે ફરી કેરામાં કટિંગ થતો તેનો શરાબ પકડાયો છે. આમ છતાં આ કુખ્યાત બુટલેગર હજુ પણ પોલીસ પકડથી દૂર જ છે. આકરા પગલાંની આવેલી ઓટથી નક્કર પરિણામ દૂરનું દૂર જ છે. આથી બેખોફ, બેલગામ બુટલેગરો સરવાળે સવાશેર હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે. આ કાયદાના રખેવાળોએ તેમની શાખ બચાવવા નક્કર પગલાં ભરવા જરૂરી બન્યાનું જાગૃતો કહી રહ્યા છે.

Panchang

dd