ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છની બે દિવસીય મુલાકાત
દરમ્યાન શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો. સીમાવર્તી ગામ કુરનમાં રાત્રિરોકાણ, ત્યાં સ્થાનિક લોકો સાથે ગ્રામસભા અને પ્રાથમિક
શાળાનાં ભૂલકાંઓનો શાળા પ્રવેશ એ ત્રણે પ્રસંગે આ ક્ષેત્રમાં ગતિશીલતા આણી છે. કચ્છની
પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સહિતના પ્રશ્નો છે. ભરતી વખતે જિલ્લા બહારના શિક્ષકોની
નિયુક્તિ થાય અને થોડા સમયમાં જિલ્લા ફેરબદલી થઇ જતાં અહીંની શાળાઓ ખાલી જ રહે છે.
પ્રાથમિક શિક્ષણ બાળકોની કારકિર્દી અને જીવનઘડતરનો પાયો છે. સારા અને પૂરતા શિક્ષકો
હશે તો જ ગ્રામીણ બાળકોનું ભવિષ્ય બની શકશે. મુખ્યમંત્રી કચ્છના આ પીડાદાયક પ્રશ્નથી
વાકેફ છે અને કચ્છ માટે વિશેષ નિયમો સાથેની ભરતીનો નિર્ણય લીધો એ આવકાર્ય છે. કુરન
ખાતેના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, કચ્છની શાળાઓમાં ઘટ પૂરવા
4100 શિક્ષકની ભરતી કરવામાં આવી
રહી છે. શિક્ષણમાં બધી જ સમસ્યાનો ઉકેલ સમાયેલો છે એવું તેમનું વિધાન અનુકરણીય છે.
શિક્ષણથી સમજદારી અને વિચારશીલતા તેમજ વાણી-વ્યવહારમાં પરિપક્વતા આવે છે. કચ્છ દૂર-દૂરનાં
ગામડાંઓમાં પથરાયેલો પ્રદેશ છે. સીમાવર્તી વિસ્તાર અને ઔદ્યોગિક વિકાસ પછી કારકિર્દી
ઘડવાની પુષ્કળ તકો ઉપલબ્ધ થતાં બાળકો માટે ભણી-ગણીને આગળ વધવાનો રાજમાર્ગ તૈયાર થઇ
રહ્યો છે. શહેરોમાં સહકારી સાથે ખાનગી શાળાઓ હોય છે,
પણ ગામડાં સરકારી વ્યવસ્થા ઉપર જ નિર્ભર હોવાથી શિક્ષણની ગુણવત્તા જળવાય
એ બાબત મહત્ત્વની બની જાય છે. ભૂપેન્દ્રભાઇની એ ટકોર પણ સર્વથા યોગ્ય છે કે,
શાળામાં પ્રવેશ મેળવવાથી કામ પતી નથી જતું... બાળકો ગંભીરતાથી ભણે,
અભ્યાસમાં ટકી રહે એ પણ જોવું જરૂરી છે. આ જવાબદારી ગામના વડેરાઓ ઉપરાંત
વાલીઓએ બજાવવાની છે. શહેરોમાં પૂરતી સુવિધાઓને લીધે કન્યા કેળવણીમાં ક્રાંતિ આવી છે.
આ માહોલ ગામડાં સુધી ત્યારે જ પહોંચશે જ્યારે ભણવાનું અને ભણાવવાનું કામ પૂરી ધગશ અને
નિષ્ઠા સાથે થશે. મુખ્યમંત્રીએ સીમાવર્તી ક્ષેત્રમાં રાતવાસો કર્યો હોય એવું ઘણા અરસા
પછી બન્યું છે. તેમણે કુરનની નવી પ્રાથમિક શાળાનાં મકાનનું લોકાર્પણ કર્યું,
ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું, આગલા દિવસે
હમીરસરના કાંઠે સાંસદ દ્વારા આયોજિત કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ બીજા દિવસે શ્રેણીબદ્ધ
કાર્યક્રમોમાં ભાગ લીધો. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત નરેન્દ્ર મોદી ગુજરાતના
મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવી. એ પછી ડ્રોપઆઉટ રેશિયો ઘટી ગયો છે. મુખ્યમંત્રી,
બીજા પ્રધાનો, જનપ્રતિનિધિઓ, સચિવો, સનદી અધિકારીઓ રાજ્યના અલગ-અલગ ભાગોમાં જાય અને
કાર્યક્રમ યોજે એ પહેલ પાછળની એક સંકલ્પના એ પણ છે કે, જે-તે
ગામના એ વિસ્તારના પ્રશ્નો ધ્યાને આવે, તેના ઉકેલની ચર્ચા થાય.
કુરન બન્ની-પચ્છમનું ગામ છે. આ વિસ્તાર મહેસૂલી માન્યતાના પ્રશ્નોનો દાયકાઓથી સામનો
કરે છે, તેનો વેળાસર નિવેડો આવે એવું બન્ની-પચ્છમવાસીઓને ઝંખી
રહ્યા છે.