વિથોણ, (તા.
નખત્રાણા), તા. 20 : તાલુકાના ધાવડાની સીમમાં
વીજવાયર ગૌવંશ (આખલા)ને ભરખી ગયો હતો અને કરંટ લાગ્યા પછી તે ભડભડ સળગી ઊઠયો હતો. ધાવડાના
ધ્રાગામાં આવેલા ખેતરમાંથી વીજ લાઇન પસાર થાય છે. પવનને કારણે વીજરેષાનો અર્થિંગ વાયર
સાથે સંપર્ક થતાં 11 કે.વી.નો
કરંટ જમીનમાં આવી ગયો હતો અને ઘાસ ચરતા ગૌવંશ (નંદી)ને કરંટ લાગ્યો હતો અને થાંભલા
નજીક પટકાયો હતો. જમીન ભીની અને ભેજવાળી હોવાથી
જમીનમાં કરંટ આવતો હોવાથી કોઇએ નજીક જવાની હિંમત કરી નહોતી. નજીકના ખેડૂતે ટેસ્ટર લઇને
કરંટ તપાસતાં નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો હાથ પર દાઝી ગયો હતો. આ ઘટનાની જાણ
સ્થાનિક વાયરમેનને કરતાં ફીડર બંધ કરવામાં
આવ્યું હતું. પરંતુ ત્યાં સુધી આખલાનું મોત થઇ
ગયું હતું. વીજ વિભાગનો સંપર્ક કરતાં જણાવવામાં આવ્યું કે, ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે વીજ કરંટ થાંભલામાં
પણ આવી જતો હોય છે. વરસાદ પછી પર ખેડૂતો અને ખેતમજૂરોને વીજ થાંભલાથી દૂર રહેવું તેમજ
પશુઓને ચરાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. થોડા દિવસ પૂર્વે દેવપરની સીમમાં ઊંટને
શોક લાગ્યો હતો પરંતુ પશુચારકની સતર્કતાને કારણે ઊંટનો બચાવ થયો હતો. ઘણીવાર 11 કે.વી. લાઇનોને વૃક્ષો અડી
જાય ત્યારે કરંટ ઝાડમાં આવી જાય છે જેના માટે તંત્ર વૃક્ષો કાપીને વાયર ખુલ્લા કરે
છે છતાં લોકો પૂરતું ધ્યાન રાખે તેવું જણાવ્યું છે.