ગાંધીધામ, તા. 16 : તાલુકાના
જવાહરનગર નજીક આગળ ઊભેલાં ટ્રેઇલરમાં પાછળથી વારાફરતી બે ટ્રેઇલર ભટકાતાં પાછળના
ટ્રેઇલરચાલક સતીષ બલવાન સિવાચ (જાટ) (ઉ.વ. 34)નું મોત થયું હતું તેમજ
આદિપુરમાં મહારાવ સર્કલ નજીક મોપેડ સ્લીપ થતાં નવીન અમરશી ભીલ નામના યુવાને જીવ
ખોયો હતો. ગાંધીધામની કેરાવન રોડવેઝ લિમિટેડ નામની ટ્રાન્સપોર્ટમાં કામ કરનાર સતીષ
નામનો યુવાન ટ્રેઇલર નંબર એચઆર-47-એફ-1977માં
બેરિયમ સલ્ફેટ પ્રીસીપીટેટેડના પેકેટ ભરીને દિલ્હી જવા નીકળ્યો હતો. આ યુવાન
જવાહરનગર નજીક પંચરત્ન માર્કેટ સામે ઓવરબ્રિજ ઊતરતો હતો, ત્યારે તેને અકસ્માત
નડયો હતો. આગળ જનારાં ટ્રેઇલર નંબર જીજે-18-બીટી-5702માં
ખોટીપો સર્જાતાં તે માર્ગની વચ્ચે ઊભું રહી ગયું હતું, તેના ચાલકે કોઇ આડશ કે
ઇશારો કર્યા વગર પોતાનું વાહન ત્યાં મૂકી રાખ્યું હતું. દરમ્યાન પાછળથી આવતું
ટ્રેઇલર જીજે-12-બીવી-6674 આ
ઊભેલાં ટ્રેઇલરમાં અથડાયું હતું. પાછળ અથડાયેલાં આ ટ્રેઇલરની પાછળ સતીષનું વાહન
આવીને ધડાકાભેર અથડાયું હતું,
જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર અથે હોસ્પિટલ લઇ
જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે મનદીપ લીલુરામ સિવાચ (જાટ)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ
આદિપુરમાં મહારાવ સર્કલ (મુંદરા સર્કલ) નજીક ટાગોર રોડ ઉપર બન્યો હતો. નવીન ભીલ
નામનો યુવાન ગત તા. 5/6ના મોડીરાત્રે પોતાના ઘરે
આશાપુરા સોસાયટી મેઘપર બોરીચી જઇ રહ્યો હતો. મોપેડ નંબર જીજે-39-ઇ-9420થી જઇ
રહેલા આ યુવાનનું મોપેડ સ્લીપ થતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેને સારવાર અર્થે
લઇ જવાતાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બે સંતાનના પિતાનાં મોતનાં
આ પ્રકરણમાં તેના નાના ભાઇ પ્રકાશ અમરશી ભીલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.