ભુજ, તા. 15 : માંડવી શહેરના આઝાદચોકમાં ગત
એપ્રિલ મહિનામાં રૂપિયાની લેતીદેતીના મામલે બનેલા હત્યાના પ્રયાસ સહિતના હુમલાના કેસમાં
જવાબદારો સામે ખૂનના પ્રયાસ સહિતની કલમો તળે ફોજદારીનો ગુનો દાખલ કરવા માંડવીની અદાલતે
આદેશ કર્યો હતો. સામાન્ય રીતે મેજિસ્ટ્રેટ કક્ષાએથી આ પ્રકારની એફ.આઈ.આર. દાખલ કરવાનો
હુકમ બહુ ઓછા કિસ્સામાં થતો હોય છે. માંડવીની કોર્ટના આ આદેશથી જે-તે સમયે ચર્ચાસ્પદ
રહેલો આ કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે. ગત તા. 17મી એપ્રિલના માંડવીના આઝાદચોક ખાતે બનેલી હુમલાની આ ઘટના બાબતે
સુનીલ અરવિંદ રાજગોરે ફરિયાદ આપી હતી, પણ માંડવી પોલીસે ગુનો દાખલ કર્યો ન હતો. આ પછી પોતાના સાક્ષીઓ અને તબીબી કાગળો
સાથે ફરિયાદીએ માંડવીની કોર્ટમાં આ ફોજદારી ફરિયાદ આપી હતી, જેમાં
અદાલતે ગુનાહિત કાવતરું રચી, એકબીજાની મદદગારીમાં સ્વૈચ્છાપૂર્વક
હત્યાનો પ્રયાસ સહિતનો હુમલો કરવાનો ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. હુમલાના આ કિસ્સામાં
ફરિયાદી સુનીલ અને તેના ભાઈ વિનોદને ઈજાઓ થઈ હતી. આ બાબતે પંકજ ખીમજી રાજગોર,
જય પંકજ રાજગોર, સલીમ કોરેજા, સદામ કોરેજા, રિયાઝ કોરેજા અને સમીર કોરેજા સામે પોલીસને
ફરિયાદ અપાઈ હતી, પણ પોલીસે ગુનો દાખલ ન કરતાં આ મામલે કોર્ટનું
શરણું લેવાતાં મેજિસ્ટ્રેટ કક્ષાએથી જવલ્લે જ થતો ગુનો દાખલ કરવાનો આ આદેશ થયો હતો.
આ અંગેની સુનાવણીમાં ફરિયાદી અને ઈજા પામનારાઓ વતીથી વકીલ તરીકે ભુજના સંતોષસિંહ આર.
રાઠોડ અને માંડવીના વકીલ મહેન્દ્ર ડી. મહેશ્વરી, વિનોદ વી. મહેશ્વરી,
લક્ષ્મીચંદ જે. ફુફલ, અલ્તાફ નારેજા, અશ્વિન વિંઝોડા અને અલ્તાફ ચાવડા હાજર રહ્યા હતા.