માંડવી, તા. 22 : લોકશાહી પર્વમાં અલગ રીતે ઊપસી
આવતા મનાતા આ કાંઠાળ તાલુકામાં આજે યોજાયેલી 12 ગ્રામ પંચાયતોની રસાકસીભરી ચૂંટણીનાં મતદાનમાં લોકસભા કે વિધાસભાના
ચુનાવી જંગમાં દૃશ્યો જોવા મળે તેવા અતિ ઉમંગભેર ઉત્સાહમાં એકંદરે 17125 મતદાતાઓ પૈકી 12940 ભાગ્યવિધાતાઓએ લેખ લખ્યા હતા.
આમ મતદાનની ટકાવારી 78.56 ટકા આસપાસ
નોંધાઇ હતી. મતદાનની સમયાવધિ પૂરી થાય એના આખરી કલાકોમાં મહદ્અંશે કતારો જોવા મળી હતી.
નાના ભાડિયા, દુર્ગાપુર, મોટા લાયજા, મોટા આસંબિયા, કોજાચોરા
વગેરે ગામોમાં આખરી ચરણ છતાં લાઇનો લાગી હતી. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂરી થઇ હોવાનો
દાવો કરતાં તંત્રે હાશકારો લીધો હતો. અમારા
પ્રતિનિધિ દેવેન્દ્ર વ્યાસના જણાવ્યા પ્રમાણે માંડવી તાલુકામાં 12 ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે
મામલતદાર વિનોદભાઇ ગોકલાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, તાલુકામાં ગુરુતમ નાના ભાડિયા ગામે 93 ટકા જ્યારે લઘુતમ આંકડો નાગલપર
ગામે 65 ટકા નોંધાયો હતો. 21 જેટલા મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ
મતદાન સંપન્ન થયું હતું. શેરડી અને મેરાઉ ગ્રા.પં.માં સરપંચો બિનહરીફ વિજેતા થયા પછી
તે ગામોમાં વોર્ડ ચુનાવ છતાં વાદળછાયા અને વરસાદી માહોલ વચ્ચે મતદારોએ ઉત્સાહમાં ઉષ્માની
અનુભૂતિ કરાવી હતી. શેરડીમાં તો દોઢેક કલાક અગાઉ આંકડો 82 ટકાને પાર કરી ગયો હતો. સાંજે
પાંચેક વાગ્યા સુધીમાં તાલુકાના છેવાડે આવેલું ગઢશીશા-કોટડી પંથકનું ગામ પોલડિયા 89 ટકા સાથે તાલુકામાં ટોપર રહ્યું
હતું. મોટેભાગે સીધી ટક્કર અનિવાર્ય બની તેવાં ગામોમાં મતદારોએ બાવળામાં વધુ જોર આણીને
નેત્રદીપક માહોલ પેદા કર્યો હતો. કેટલીક જગ્યાએ આરંભથી અંત સુધીના સમય લગી મતાધિકાર
જાગૃતિની અનુભૂતિ ઉલ્લેખતાં રાજકીય ગણતરીબાજોએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે
કહ્યું હતું કે, ધુરંધર અને ખેરખાં માનનારાઓના
ગણિતના કોઠા બદલી જાય એવો રસ જોવા મળ્યો હતો.
આ ગામોમાં મતદારોની એકંદર સંખ્યામાં પુરુષો અને મહિલઓ વચ્ચે નામ પૂરતો તફાવત
જોતાં મતદાનની ટકાવારીમાં પણ નોંધપાત્ર ગુણાત્મક ફાંસલો જોવા મળ્યો હતો. ગામવાર જોઈએ
તો એકંદર મતદારોની સંખ્યા સામે આ મુજબ ટકાવારી જાણવા મળી હતી. દુર્ગાપુરમાં 3498 મતદારો (79.96 ટકા), નાગલપર 2275 મતદારો (65.80 ટકા ), નાના ભાડિયામાં 829 મતદારો (93.37 ટકા), મોટા લાયજામાં 2379 મતદાતાઓ (80.08 ટકા), બાયઠમાં 1318 મતદારો (89.68 ટકા), મોટી સાભરાઈ 1557 મતદાતાઓ (79.25 ટકા), પોલડિયામાં 565 મતદારો (89.56 ટકા), મોટા આસંબિયા 2390 મતદારો (69.27 ટકા), કોજાચોરામાં 754 મતદારો (84.75 ટકા) અને વોર્ડ ચુનાવોમાંના
શેરડીમાં 634 મતદારો (85.33 ટકા) જે અને મેરાઉમાં 272 મતદાતાઓમાંથી (71.69 ટકા) જ્યારે ગઢશીશામાં વોર્ડની
પેટા ચૂંટણીમાં 660 મતદારોમાંથી
(73.48) ટકાવારી નોંધાઈ હતી. શ્રી ગોકલાણી
સાથે તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હવાલો સંભાળનાર નાયબ મામલતદાર ત્રિકમભાઈ
દેસાઈએ કહ્યું હતું કે, મતપત્રકો દ્વારા
ચૂંટણી સુપેરે સંપન્ન થઈ હતી. દરમ્યાન રાજકીય `ગઢ' મનાતા ગઢશીશા ગામ ખાતે થોડા સમય પૂર્વે ગ્રામ પંચાયતના સદસ્યનું નિધન થતાં
ખાલી વોર્ડમાં ચૂંટણી થતાં 660 મતમાંથી 485 મતદારોએ મતદાન
કરી 73.48 ટકા જેટલી ટકાવારી નોંધાવી
હતી, તો નજીકના પોલડિયા ગામ ખાતે ગ્રામ પંચાયતની
ચૂંટણી જાહેર થતાં કુલ 7માંથી 6 વોર્ડ બિનહરીફ થયા હતા અને એક વોર્ડ માટે
ચૂંટણી યોજાઈ હતી.