• સોમવાર, 23 જૂન, 2025

ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં મોદીની તણાવ ઘટાડવા અપીલ

નવી દિલ્હી, તા. 22 : ઇરાન અને ઇઝરાયલનાં યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવીને ઇરાન પર હુમલા કર્યા છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ પેઝેશ્કિયાન સાથે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી અને ચિંતા વ્યક્ત કરી હતી અને ઇઝરાયલ તથા ઇરાનને તણાવ ઓછો કરવા અને પરસ્પર વાટાઘાટો કરવા અપીલ કરી છે. પી.એમ. મોદીએ એક ટ્વિટમાં તણાવ ઘટાડવા અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પુન: સ્થાપિત કરવા માટે રાજદ્વારી રીતે તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત હંમેશાં એવું માનતું આવ્યું છે કે કોઇપણ કટોકટીનો એકમાત્ર ઉકેલ વાતચીત અને કૂટનીતિ છે. પી.એમ. મોદીની મસૂદ પેઝેશ્કિયાન સાથેની વાતચીત એવા સમયે થઇ જ્યારે અમેરિકા દ્વારા ઇરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બારો કર્યા પછી સમગ્ર વિશ્વની મધ્ય-પૂર્વની પરિસ્થિતિ પર નજર છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ તીવ્ર બનવાથી ઇરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમન સહિત પશ્ચિમ એશિયાઇ દેશો સાથેના ભારતના વેપાર પર મોટી અસર થવાની શક્યતા છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાના ઉદ્દેશ્યથી અમેરિકાએ રવિવારની વહેલી સવારે ઇરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો, ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પર હુમલો કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd