ભુજ, તા. 22 : નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને
પખવાડિયા જેટલો સમય વીતી જવા છતાં કચ્છની સાથે રાજ્યભરની ખાનગી શાળાના છાત્રોને પાઠયપુસ્તક
ન મળતાં છાત્રોની સાથે તેમના વાલીઓ તેમજ શાળા સંચાલકોમાં દેકારો મચી ગયેલો જોવા મળી
રહ્યો છે. એક તરફ સરકાર શિક્ષણના વિકાસની વાત કરે છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ પાઠયપુસ્તક
વગર કેવી રીતે અભ્યાસ કરશે તેવો વેધક સવાલ ઉઠાવી રહ્યા છે. આ વખતે નવરાત્રિ અને દિવાળીનો
તહેવાર વહેલો આવવાનો હોવાથી પ્રથમ સત્ર વહેલું પૂર્ણ થવાનું છે, ત્યારે પાઠયપુસ્તક જ ન મળતાં અભ્યાસ કેમ કરવો
અને કોર્સ કઈ રીતે પૂર્ણ કરવો તે એક પેંચીદો પ્રશ્ન બની ગયો છે. - પૈસા ખર્ચવા છતાં પુસ્તક મળતાં
નથી : ભુજની સંસ્કાર સ્કૂલના ફાઉન્ડર અને જાણીતા શિક્ષક કિરીટભાઈ કારિયાએ
પોતાનો બળાપો ઠાલવતાં કહ્યું કે, વાલીઆ
પૈસા ખર્ચવા તૈયાર છે છતાં તેમને પુસ્તક મળતાં નથી. સરકારી શાળામાં જો પુરતી માત્રામાં
પુસ્તક મળી રહેતા હોય, તો ખાનગી શાળાના છાત્રોને શા માટે નથી
મળતાં. ખેરખર તો સરકારે ખાનગી શાળાના છાત્રોને પુસ્તકો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી
જોઈએ. પુસ્તક ન મળવાના કારણે છેવટે નુકસાન તો વિદ્યાર્થીઓના શિક્ષણને થઈ રહ્યું છે.
- બોર્ડના છાત્રોનો વધુ મરો : આમ તો ખાનગી શાળાના દરેક ધોરણનાં પાઠયપુસ્તક મળી રહ્યા નથી, પણ સાથી વધુ મરો ધોરણ 10 અને 12ના બોર્ડના છાત્રોનો થઈ રહ્યાનું ગાંધીધામની
પી.એન. અમરશી હાઈસ્કૂલના શિક્ષક લય અંતાણીએ જણાવ્યું હતું. વાલીઓ દરરોજ દુકાને ધક્કા
ખાય છે, પણ તેમને પુસ્તક મળવા નસીબ થતા નથી. અમુક ધોરણની
અમુક ચોપડી છેલ્લી ઘડીએ બદલાવાતા એક પાઠ માટે આખી ચોપડી નવી ખરીદવી પડે છે. - સ્થિતિ ક્યારે થાળે પડશે તે
કંઈ નિશ્ચિત નથી : કચ્છ જિલ્લા
સ્ટેશનરી એસોના પ્રમુખ હેમેન્દ્ર કંસારાના જણાવ્યાનુસાર પાઠયપુસ્તકની અછત કયારે દૂર
થશે અને સ્થિતિ કયારે થાળે પડશે તે કહેવું અનિશ્ચિત છે. જો કે, રાજ્ય સતરના સંગઠનને એમ રજૂઆત કરી, તો એકાદ પખવાડિયામાં પુસ્તક પુરતા પ્રમાણમાં આવી જશે તેવી ધરપત અપાઈ છે. જે
ધોરણનાં પાઠયપુસ્તક બદલ્યાં છે તે મળે તો છે, પણ અમે જેટલી ડિમાન્ડ
કરીએ તેના 20 ટકા જથ્થો
માંડ મળે છે. - કેટલાક પુસ્તક ક્યારે મળશે
તે અંગે અનિશ્ચિતતા : કેટલાક પુસ્તક વિક્રેતાના જણાવ્યાનુસાર અમુક પુસ્તકો સોમવાર પછી આવે તેવી શક્યતા છે, પણ ધોરણ 1 અને 2 તેમજ ધોરણ 6માં અંગ્રેજી અને સંસ્કૃત સહિતનાં કેટલાક પુસ્તક એવા છે કે જે
કયારે મળશે તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
- પૂરતા પ્રમાણમાં પુસ્તક ન છપાતાં
આ સ્થિતિ સર્જાઈ : રાજ્ય સ્તરેથી પૂરતા પ્રમાણમાં પુસ્તકો
જ છપાતાં પુસ્તક વિતરણમાં આ તંગી સર્જાયાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો કહી
રહ્યા છે. અધૂરામાં પૂરું હલ્કી ગુણવત્તા વાળાં પાઠયપુસ્તક અપાયાની ચોકાવનારી વિગત
સપાટી પર આવી હતી. પુસ્તકો ન મળવાના કારણે કેટલીક ખાનગી શાળામાં શિક્ષકો છાત્રોને ખોટી
રીતે સજા આપતા હોવાનો કચવાટ વાલીઓએ ઠાલવ્યો હતો.