• સોમવાર, 23 જૂન, 2025

આડેસર નજીક અજાણ્યા વાહન હડફેટે કિશોરે પોતાનો જીવ ખોયો

ગાંધીધામ, તા. 22 : રાપરના આડેસરમાં ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહને શૈલેશ પ્રહલાદ બજાણિયા (ઉ.વ. 13) નામના કિશોરોને હડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ પડાણા નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટમાં લેતાં ચકો ઉર્ફે રોહિત ગોસ્વામી નામના યુવાને જીવ ખોયો હતો. આડેસરના વાડા વિસ્તારમાં રહેનાર શૈલેશ નામનો કિશોર ગત તા. 19-6ના સાંજના અરસામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓવરબ્રિજ બાજુ ગયો હતો. કુદરતી હાજતે ગયેલો આ કિશોર ઓવરબ્રિજ ઉપર પગપાળા આવી રહ્યો હતો. દરમ્યાન ધસમસતાં આવતાં અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ ઘવાયેલા કિશોરને પ્રથમ આડેસર અને બાદમાં વધુ સારવાર અર્થે પાટણ-ધારપુરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં આ કિશોરે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કિશોરના પિતા પ્રહલાદ વેરશી બજાણિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ પડાણા નજીક રામાપીર મંદિરથી આગળ ભચાઉથી ગાંધીધામ જતા રોડ ઉપર બન્યો હતો. ઇન્દિરાનગરમાં રહેનાર શંકર ઇશ્વર દેવીપૂજક નામનો યુવાન પોતાના મિત્ર ચકો ઉર્ફે રોહિતને મળવા ભચાઉ ગયો હતો. ત્યાંથી તેને ચકો પરત મૂકવા આવી રહ્યો હતો. આ બંને બાઇકથી આવી રહ્યા હતા ત્યારે પાછળથી અજાણ્યા વાહને હડફેટમાં લઇ બંનેના પગ પરથી વાહનના તોતિંગ પૈડાં ફરી વળ્યાં હતાં. જેમાં રોહિતના બંને પગમાં ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર મળે તે પહેલાં તેણે દમ તોડી દીધો હતો, જ્યારે શંકરને અમદાવાદ લઇ જવાતાં તેનો એક પગ કાપવો પડયો હતો. અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગૌરીબેન ઇશ્વર દેવીપૂજકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd