લાહોર, તા. 1 : ટેસ્ટ ક્રિકેટમાં સતત નબળા
દેખાવ અને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 મેચની શ્રેણીની બે ટેસ્ટમાં મળેલ કારમા પરાજય બાદ પાકિસ્તાન
ક્રિકેટમાં ભૂકંપની સ્થિતિ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી
અને અંતિમ ટેસ્ટની લગભગ અડધી ટીમ બદલી દીધી છે. આ ઉપરાંત હેડ કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ
કોચ ઉમર ગૂલની પણ છૂટ્ટી કરી દીધી છે. બીજી તરફ પસંદગીકાર અને પૂર્વ કપ્તાન મિસબાહ
ઉલ હકે રાજીનામું આપી દીધું છે. જો કે આઉટ ઓફ ફોર્મ બાબર આઝમ ત્રીજા ટેસ્ટમાં કપ્તાનપદે
ટકી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટની પાકિસ્તાન ટીમમાંથી સાત ખેલાડીઓને પરત
બોલાવી લેવામાં આવ્યા છે. જેમાં મોહમ્મદ રિઝવાન,
ઇમામ ઉલ હક, સલામાન અલી આગા, અલી ઉસ્માન, આમિર જમાલ, અવૈસ જફર
અને ખુર્રમ શહઝાદ સામેલ છે. ટીમમાં પાંચ નવા અનકેપ્ડ ખેલાડી અરાફત મિન્હાસ,
મોહમ્મદ ઇમરાન, જૂ. સાદ બેગ, મોહમ્મદ ઇમરાન રંધાવા અને રઝાઉલ્લાહ સામેલ છે. અન્ય બે ખેલાડી સઇમ અયૂબ ને
અબ્દુલ્લાહ ફઝલનો પણ સમાવેશ થયો છે. તેનો ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે. સફેદ દડાના
કોચ માઇક હેસન અને બોલિંગ કોચ એશ્લે નોફકે ઇંગ્લેન્ડ સામેના અંતિમ ટેસ્ટમાં વચગાળાના
કોચ તરીકેની જવાબદારી સંભાળશે. જે 9 સપ્ટેમ્બરથી બર્મિંગહામ ખાતે શરૂ થઇ રહ્યો છે.