કોઈ પણ દેશ માટે તેની વસ્તીની ગણતરી હંમેશાં પડકારરૂપ બની રહેતી
હોય છે. તેમાં પણ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં જ્યારે જાતિ આધારિત ગણતરીની
વાત આવે, ત્યારે તે જટિલ અને વિવાદોથી ભરપુર રહે એમાં
કોઈ શંકા નથે. કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની તારીખો જાહેર કરીને ખુદ સ્વીકાર્યું
છે કે, આ કામગીરી પડકારભરી બની રહેશે. આમ તો દેશમાં વસ્તી ગણતરીની
પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ,પણ હવે બીજા તબક્કામાં જાતિ આધારિત
ગણતરી હાથ ધરાશે, ત્યારે તેની સામે અત્યારથી જ વિવાદ ખડા થવા
લાગ્યા છે. ભારતનાં રાજકારણમાં જાતિનાં સમીકરણો સતત ચાવીરૂપ બનતાં રહ્યાં છે. એટલે
નાગરિકોથી વિશેષ રાજકીય પક્ષોને આ ગણતરી માટે ભારે ઉત્કંષ્ઠા છે. સત્તાવાર રીતે એમ
કહેવાય છે કે, આ જાતિ આધારિત ગણતરીથી વિકાસની યોજનાઓને વધુ અસરકારક
રીતે અમલી બનાવી શકાશે, પણ આ ગણતરીના આંકડા રાજકીય પક્ષોને ઉમેદવારોની
પસંદગીથી માંડીને પ્રચારની વ્યૂહરચના સુધી તમામ બાબતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી જશે
એ નક્કી છે. આજ કારણ છે કે, વસ્તી ગણતરીના બીજા તબક્કામાં જાતિ
આધારિત ગણતરીની કામગીરીની હજી તારીખો જાહેર થઈ છે, ત્યાં તો રાજકીય
રીતે સવાલો ખડા થવા લાગ્યા છે. કોંગ્રેસે આરોપ મુક્યો છે કે, જાતિ ગણતરીનાં ફોર્મમાં ઓબીસીની માટે કોઈ કોલમ નથી. હજી ગણતરી શરૂ થઈ રહી છે,
ત્યાં પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ
મલ્લિકાર્જુન ખડગેએ ગણતીરીની પદ્ધતિ સામે સવાલ ખડા કર્યા છે. તેમને વાંધો એ છે કે,
ગણતરીનાં ફોર્મમાં જાતિની કોલમને ખાલી રખાઈ છે. ગણતરી કરાવનારે પોતાની
જાતિ આ કોલમમાં લખવાની રહેશે. દેશમાં જાતિની ઓળખના મામલે ભારે ગુંચવણ છે, જેને લીધે આ ગણતરીનાં પરિણામ સ્પષ્ટ
આવી શકશે નહીં. તારણ કાઢવાનું ભારે પડકારભર્યું બની રહેશે. ઉલ્લેખનીય છે કે, 2011માં આ રીતે જાતિ ઉપરાંત સામાજિક
અને આર્થિક માપદંડોના આધારે ગણતરી કરાઈ હતી, ત્યારે ફોર્મમાં જાતિ સંદર્ભે આજ રીતે નોંધ કરવાની વ્યવસ્થા રખાઈ હતી. તે સમયે
46 લાખથી વધુ જાતિ અને પેટાજાતિઓની
નોંધણી થઈ હતી. 2011ના ફોર્મેટે
એટલો બધો ગુંચવડો સર્જયો હતો કે, તેના
આંકડા જાહેર કરી શકાયા ન હતા, હવે સરકારે આ પ્રક્રિયામાં કોઈ વ્યવસ્થા ગોઠવીને અગાઉની સ્થિતિનું પુનરાવર્તન
ન થાય તેની આગોતરી તસ્દી લેવી જોઈએ. ખેરખર તો સરકારે ક્રોગ્રેસ અને તેની સાથોસાથ અન્ય
વર્ગોમાંથી આ પ્રક્રિયા માટેનાં સૂચનો પર ધ્યાન આપીને તેમાં જરૂરી સુધારા કરવા જોઈએ,
જેથી જાતિ આધારિત ગણતરીને ખરા અર્થમાં ઉપયોગી બનાવવી જોઈએ. આ વિશાળ કાર્યમાં
લાખો કર્મચારીના માનવ કલાકો અને મહેનત કામે લાગશે એટલે તેનો ઉદ્દેશ ખરા અર્થમાં ફળદાયી
બને તેની ખાસ જરૂરત રહેશે.