રાપર, તા. 1 : તાલુકાનાં જાટાવાડામાં ઉંટને
ડબ્બામાં પૂર્યા બાદ તેનું મોત નિપજતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી હતી. ઘટનાને પગલે
માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માલધારીઓના આક્ષેપ મુજબ, ઉંટને ડબ્બામાં ન પૂરવા માટે અનેક કાકલૂદીઓ
કરવામાં આવી હોવા છતાં સરપંચનાં પતિ સહિત અન્ય લોકોએ ઉંટને બળજબરીપૂર્વક ડબ્બામાં પૂરી
દીધો હતો. આ દરમિયાન ઉંટને આડેધડ લાકડીઓથી માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં
આવ્યો છે. ત્યારબાદ ડબ્બામાં જ ઉંટનું મોત થતાં ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
માલધારીઓએ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કડક
કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ઉંટના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી તપાસ
અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે સરપંચ
પ્રતિનિધિ હરેશ વાઘડાએ માલધારીઓના આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે,
ઉંટને આખલાએ ઘાયલ કર્યો હતો અને ઈજાના કારણે તેનું મોત થયું હોવાનું
તેમણે જણાવ્યું હતું.આ ઘટના બાદ માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો.