રાંચી, તા. 21 : કેપ્ટન કૂલ તરીકે ક્રિકેટમાં વિખ્યાત એમએસ ધોનીના જાહેર રાંચી ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી ચોથી ટેસ્ટનો પ્રારંભ થશે. રાજકોટ ટેસ્ટ 434 રને જીતીને ભારત 2-1થી આગળ છે અને રાંચીમાં 3-1થી શ્રેણી કબજે કરવા રોહિત શર્માની ટીમ ઉતરશે. ખાસ વાત એ છે કે રાંચીમાં ટીમ ઇન્ડિયા એક પણ ટેસ્ટ હારી નથી. આ ઉપરાંત રાંચીમાં ગત મેચમાં રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રવીન્દ્ર જાડેજાને બોલ પણ અહીં ઘણો સ્પિન થાય છે. આથી રાંચીમાં ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડની કઠિન કસોટી નિશ્ચિત છે. રોહિત અહીં ફક્ત એક ટેસ્ટ મેચ રમ્યો છે અને તેમાં તેણે 212 રન બનાવ્યા છે. જયારે ભારતીય ટીમની બહાર ચાલી રહેલ ચેતેશ્વર પુજારાએ રાંચીમાં બે ટેસ્ટમાં 202 રન બનાવ્યા છે. રવીન્દ્ર જાડેજાએ બે મેચમાં 12 વિકેટ લીધી છે અને 10પ રન કર્યાં છે. રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી ફક્ત બે ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં એક ડ્રો રહ્યો છે અને એક મેચમાં ભારતની જીત નોંધાઇ છે. આ બન્ને મેચમાં ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીએ સંભાળી હતી. 2017માં રાંચીમાં પહેલીવાર ભારત-ઓસ્ટ્રેલિયાની ટક્કર થઇ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 41પ રન કર્યાં હતા. આ પછી ભારતે ચેતેશ્વર પુજારાની બેવડી સદી (202) અને રિદ્ધિમાન સાહાની સદીથી 9 વિકેટે 603 રને દાવ ડિકલેર કર્યો હતો. બીજા દાવમાં ઓસિ.એ 6 વિકેટે 204 રન કર્યાં હતા અને મેચ ડ્રો રહી હતી. અહીં બીજી મેચ 2019માં આફ્રિકા સામે રમાઇ હતી. જેમાં ભારતનો 202 રને વિજય થયો હતો. રોહિતે આ મેચમાં 212 રનની અને રહાણેએ 11પ રનની ઇનિંગ રમી હતી. ફોલોઓન થયા બાદ બીજા દાવમાં આફ્રિકાનો 133 રનમાં ધબડકો થયો હતો.