ગાંધીધામ, તા. 16 : અહીંની
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટ સાપેડા તથા ગુજરાત
સરકારના આઈ-હબ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કચ્છના ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા
યુવાનો અને ઉદ્યોગકારોને નવી ટેક્નોલોજી અને નવા વિચાર સાથે જોડવા અને કચ્છના
ઉદ્યોગ ક્ષેત્રને નવી દિશા ઊભી કરવા માટે સ્ટાર્ટઅપ અંગે સેમિનાર યોજાયો હતો.
આઈ-હબના પ્રતિનિધિ અભિમન્યુસિંહે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને ગુજરાત સરકાર દ્વારા
નવનિર્માણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની વિસ્તૃત વિગતો આપી હતી. ચેમ્બર મંત્રી મહેશ
તીથાર્ણીએ મુખ્ય અતિથિ પદેથી જણાવ્યીં હતું કે, કચ્છમાં ખેતી, લોજિસ્ટિક,
પોર્ટ, હેન્ડિક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ,
સિરામિક સહિતનાં અનેક ક્ષેત્રોમાં નવીનતાથી ભરપૂર સ્ટાર્ટઅપ માટે
અવકાશ ખુલ્યા છે. ખાસ સ્થાનિક સમસ્યાઓ માટે સ્થાનિક ઉકેલો લાવતા સ્ટાર્ટઅપને
આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવાની
શક્યતાઓની પણ વિશાળ તકો રહેલી છે. આ પ્રકારનાં આયોજન થકી સ્થાનિક ઉદ્યોગને
ટેક્નોલોજી અને નોકરીઓ માટે નવી તકોના દરવાજા ખૂલશે તેવી લાગણી વ્યકત કરી હતી.
ચેમ્બર દ્વારા સ્થાનિક ડ્રાઈવર્સ, કૃષિ અને લોજિસ્ટિક
ક્ષેત્રમાં તાલીમ માટે આદર્શ પ્લેટફોર્મ
પૂરું પાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે
તેવું ઉમેર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્ટાર્ટઅપ એ માત્ર વ્યાપાર નહીં
પરંતુ સમગ્ર પ્રદેશના વિકાસનું સશક્ત સાધન બની શકે છે. બુલ એગ્રિટેક દ્વારા
કૃષિ ક્ષેત્રમાં ટેકનિકલ પ્લેટફોર્મ બનાવીને ખેડૂતોને પ્રોસેસર્સ સાથે સીધા
જોડવાની યોજના પણ પ્રસ્તુત થઈ હતી. ખેડૂતોના નફામાં વધારો કરવાની સાથે કૃષિ
વ્યવસાય વધુ સબળ બનાવાશે. ટુલોટ ટેક્નોલોજિઝ પ્રા. લિ. દ્વારા ડ્રાઈવરોની અછત દૂર
કરવા માટે એક્સપ્રેસ ડાઈવર્સ મોડેલ પ્રસ્તુત થયું હતું, જે
સ્થાનિક યુવાનોને નોકરીની તક આપવા સાથે લોજિસ્ટિક ઉદ્યોગમાં કાર્યક્ષમતા અને ગ્રીન
ઈનોવેશન લાવશે. ભારત ગોદામના સ્ટાર્ટઅપ દ્વારા કૃષિ વેરહાઉસ મેનેજમેન્ટ માટે
આર.એફ.આઈ.ડી. આધારિત ટેક્નોલોજી રજૂ કરીને અનાજની નુકસાનીને ઘટાડવા અને સંગ્રહ
પ્રક્રિયાને ઝડપી બનાવવાની યોજના રજૂ થઈ હતી. આઈ. ફેક્ટર ગ્લોબલ સોલ્યુશન દ્વારા
આંતરરાષ્ટ્રીય વેપાર માટે સંપૂર્ણ ડિજિટલ માધ્યમ રજૂ થયું હતું, જેમાં ટેડ ફાઈનાન્સ, લોજિસ્ટિક, વીમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ માટે સંપૂર્ણ ઉકેલોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત
અનેક મોડેલ પ્રસ્તુત થયા હતા. એસ.આર.કે.ના કેમ્પસ હેડ ડો. સુરભિ આહીરે પણ ગિગ
વર્કસ, હેન્ડિક્રાફ્ટ અને કૃષિ સાથે જોડાયેલા લોકોની
કળાના વિકાસ માટે સંસ્થાની યોજના રજૂ કરી
હતી. વધુમાં તેમણે કૃષિ વિકાસ અને ખેડૂતો માટે અલગથી સેમિનાર યોજવા જણાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે આયોજનને
બિરદાવીને કચ્છના ઉદ્યોગકારો માટે નવી તકો ઊભી
થશે તેમજ વિવિધ ક્ષેત્રમાં રોજગારીની તકો નિર્માણ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં પૂર્વ
પ્રમુખ પારસમલ નાહટા, અનિમેષ મોદી, બળવંતભાઈ
ઠક્કર, કમલેશ પરિયાણી, પંકજ મોરબિયા,
મહિલા વિંગના નીલમ તીથાર્ણી, જાગૃતિ ઠક્કર,
વૈભવી ગોર, યુવા વિંગના રાજીવ ચાવલા, નિલેશ અગ્રવાલ, અંકિત સિંધવી, પોર્ટ-શિપિંગ,
ટિમ્બર, લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટ
સહિતના વિભાગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિવિ અને સંચાલન પ્રોજેક્ટ ચેરમેન
કૈલાસ ગોરે કર્યું હતું.