દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 5 : એક વેળાએ આસંબિયાથી આ દરિયાઇ
શહેર તરફ આવતાં ઘટાદાર વડલાઓના શિરછત્ર થકી વાતાવરણમાં શીતળતા અનુભવાતી એવાં આ કાંઠાળ
મૂલકમાં જનભાગીદારી, ઉદ્યોગગૃહના
સામાજિક ઉત્તરદાયિત્વ, વન વિભાગના સ્તુતિકર યોગદાન અને ધારાસભ્ય-પ્રજા
પ્રતિનિધિઓ દ્વારા દિશા દોર થકી લાખો વૃક્ષોનું વાવેતર અને વેંઢાર પર્યાવરણ જતન થકી
અપૂર્વ અભિયાન સાબિત થશે તેવો દાવો કરાયો હતો. આ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કોડાય,
મદનપુરા, તલવાણા ભાડિયા, દરશડી, મમાયમોરા, હાલાપર,
બિદડા, નાની ખાખર, પીપરી,
નાગલપર, મસ્કા સહિત ગામડાંઓમાં નેત્રદીપક લીલોતરી
ક્લાઇમેટ સુધાર સાથે વિહંગોને આહાર-વિહાર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થવા જઇ રહ્યું
છે. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ પર્યાવરણ દિન પ્રસંગે આપેલી જાણકારી પ્રમાણે પબ્લિક
પાર્ટનરશિપ અર્થે રાજકોટ ખાતેના સદ્ભાવના વૃદ્ધાશ્રમના ફાઉન્ડર અને `ગ્રીનમેન' તરીકે જાણીતા વિજયભાઇ ડોબરિયા દ્વારા મારો દેશ
હરિયાળો પ્રદેશ અભિયાન અંતર્ગત વિધાનસભા મતવિસ્તારમાં દોઢેક લાખ કરતાં વધારે વૃક્ષોનું
કેવળ વાવેતર જ નહીં પરંતુ તેનો સુરક્ષિત ઉછેર પ્રદૂષણ નિયંત્રિત કરશે. શેરડી,
ગઢશીશા વચ્ચે ટેકરી માતા વગેરે
તાલુકાના ઉપરાંત મુંદરા તાલુકાના શહેર, કાંડાગરા,
કપાયા, કારાઘોઘા, ભોરારા
સહિતના અનેક ગામોમાં સદ્ભાવના દ્વારા ત્રિસેક હજાર કરતાં વધારે, અદાણી ફાઉન્ડેશન મારફતે 40-50 હજાર, ઉપરાંત
વન વિભાગ દ્વારા 30-40 હજાર ઝાડોની
રોપણી અને જતન કરવામાં લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં પ્રાકૃતિક હવામાન
આંખ ઠરે તેટલી હદે બદલાઇ જશે એવો વિશ્વાસ વ્યકત
કરાયો હતો. માંડવી-ભુજ રસ્તે અતીતને પુનર્જીવિત
કરવા આસંબિયા સુધી રસ્તાની બંને બાજુ વૃક્ષો હશે. `સદ્ભાવના'ના પ્રેરક
અને મોભી શ્રી ડોબરિયાએ કહ્યું હતું કે, વૃક્ષ વાવેતર પછી તેનો સુરક્ષિત ઉછેર સાર્થક થાય એ માટે ટ્રેક્ટર/ટેન્કર
ઉપરાંત કર્મયોગી સહાયક વડે સમયસર ખાતર, પાણી, જાળવણી અર્થે પીંજરા વગેરેને કારણે મહદ્અંશે તમામ હયાત રહે છે અને ઝાડનું બાળમરણ
ટાળી શકાય છે. ચાર વર્ષો લગી વૃક્ષોનું જતન સદ્ભાવના કરે છે. આ અભિયાનમાં જનભાગીદારી
-સામેલગીરી ઉદ્દેશને સાર્થક બનાવી રહી છે. વધુમાં આવા વૃક્ષોમાં લીમડો, પીપળો, વડ, લિયાર (ગુંદી) વગેરે
મોટા અને પરંપરાગત વૃક્ષો હોવાથી સો-દોઢસો વર્ષોની આવરદા પક્ષીઓને વિહાર અને ભોજન ઉપલબ્ધ
કરાવે તે જીવદયાના પરિપ્રેક્ષ્યમાં આશીર્વાદરૂપ રહે. આઠ-દસ ફૂટનાં અંતરે વૃક્ષો વાવવામાં
આવી રહ્યાં છે. તેઓએ કચ્છ જિલ્લામાં 75 હજારથી એકાદ લાખ વૃક્ષો વાવેતરમાં હોવાનું કહેતાં ઉમેર્યું કે, સમગ્ર દેશને હરિયાળો બનાવવાનું સ્વપ્નું છે.
હાઇવે-રોડની બંને બાજુ લીલી બનાવવી છે. આ ઉદ્દેશ માટે 250 ટ્રેક્ટરો, 250 ટેન્કરો ઉપરાંત
પગારદાર સ્ટાફ સાથે જાતનિરીક્ષણ થાય છે. સ્વજનની સ્મૃતિમાં જનતા જોડાતાં અભિયાન પોતીકું
બની રહ્યું હોવાનો દાવો છે. આ દરમ્યાન પર્યાવરણ સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં `સોલાર પાવર'નું અભિયાન વેગીલું બની રહેતું હોવાનો દાવો વીજતંત્ર
દ્વારા કરાયો હતો. નાયબ ઇજનેરો વિપુલભાઇ પટેલ અને સનતભાઇ જોશીએ આપેલી જાણકારી પ્રમાણે
શહેરમાં 927 જ્યારે ગ્રામ્ય
સ્તરે 692 ઉપભોક્તાઓ સોલાર પાવર પ્રતિસ્થાપન
અર્થે આગળ આવ્યા છે. `સોલાર પાવર' આર્થિક રીતે અને પર્યાવરણ માટે સમયનો સાદ લેખાવાયો
હતો.