રાપર, તા. 18 : કોરોના પહેલાં ગુજરાતથી ગલ્ફના દેશો મસ્કત-ઓમાન, દુબઈ વગેરે દેશોને જોડતી 70 જેટલી ફલાઈટ હતી, જે કોરોનાકાળ પછી હજુ સુધી બંધ છે. ત્યારે ગુજરાતથી
મસ્કત વચે સીધી વિમાની સેવા શરૂ કરવા રાપરના
પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઈ છે. મસ્કતમાં અનેક ગુજરાતી પરિવારો સ્થાયી થયા છે
ત્યારે મસ્કત ગુજરાતી સમાજ, ઈન્ડિયન સોશિયલ ક્લબ, ઓમાન, વિશ્વ ગુજરાતી સમાજ અને ગ્લોબલ કચ્છ ફેડરેશન જેવી
વૈશ્વિક સંસ્થાઓએ આ સેવા ફરી શરૂ કરવા માટે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં રજૂઆત કરી હતી.
મસ્કતમાં 1500થી વધારે
ગુજરાતી પરિવારો ધંધા-રોજગાર અર્થે વસવાટ કરી રહ્યા છે, જેમાં 500થી વધુ કચ્છી પરિવારો છે. તેમને
મસ્કત આવવા જવા માટે ગુજરાતથી સીધી વિમાની સેવા ન હોવાથી મુંબઈ, ચેન્નાઈ, આંધ્રપ્રદેશ
કે કેરળથી આવવું-જવું પડે છે. મસ્કતથી ભારત બે કલાકમાં પહોંચી જવાય છે, પરંતુ ત્યાંથી ગુજરાત આવવા-જવાનું બહુ સમય અને ખર્ચ માગી લે છે. વળી વરિષ્ઠ
નાગરિકો કે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને વિમાન શોધવું, બદલવું
આ પ્રક્રિયામાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. વળી આકસ્મિક કે મરણ જેવા પ્રસંગોએ સમયસર
પહોંચી શકાતું નથી. સલામ એર દ્વારા જયપુર, કાલિકટ, ત્રિવેન્દ્રમ, લખનઉ વગેરે સ્થળેથી વિમાની સેવા ચલાવવામાં
આવે છે અને તેને ભારતમાં 11 સ્થળેથી ચલાવવાની
મંજૂરી હોવાથી તે અમદાવાદથી મસ્કત વિમાની સેવા ચલાવવા તૈયાર હોવાનું જણાવી રાપરના પૂર્વ
ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન
નાયડુને રજૂઆત કરી હતી. આ સીધી સેવા શરૂ થવાથી ગુજરાતની બાગાયતી ખેતપેદાશો ગલ્ફના દેશોમાં
સમયસર પહોંચવાથી વેપાર-ઉદ્યોગમાં પણ વૃદ્ધિ આવશે અને પ્લમ્બર, કડિયા જેવા નાના કારીગરોનો સમય અને નાણાંનો
વ્યય પણ અટકશે, એમ વધુમાં જણાવ્યું હતું.