રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 13 : શહેર મધ્યે આરોગ્ય અને માનવસેવા
ક્ષેત્રે કાર્યરત સંસ્થા મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 15 વર્ષથી શહેર અને તાલુકાના ગ્રામ્ય
વિસ્તારમાં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન
જયંતીની પૂર્વસંધ્યાએ શહેરનાં પ્રાચીન જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વ જીવ કલ્યાણ અને
પર્યાવરણ શુદ્ધિકરણના હેતુ સાથે અખંડ હનુમાન ચાલીસા પાઠ અને દશાંશ હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું હતું. અખંડ હનુમાન ચાલીસા પાઠનો દીપ પ્રાગટય સાથે આરંભ કરાવતા અંજારના ધારાસભ્ય
ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ધર્મનાં રક્ષણ માટે ધર્મનું આચરણ ખૂબ જરૂરી
છે. કળિયુગના આ સમયમાં હનુમાનજીની ભક્તિ શ્રેષ્ઠ
છે. તેમણે યુવાનોના આદર્શ હનુમાનજીની ભક્તિની તાકાત અદ્ભુત ગણાવી હતી. તેમણે યુવાશક્તિ
પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સારાં રાષ્ટ્રનિર્માણ માટે યુવાનોએ
ભક્તિ સાથે દેશભાવના વિકસાવવી જરૂરી છે. ધારાસભ્યએ ટ્રસ્ટની ભક્તિ સાથે માનવ ઉપયોગી
સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે આશીર્વાદ આપતા સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી
મહારાજે કહ્યું હતું કે, આ શહેરને તેમની ધાર્મિક ભક્તિ પ્રત્યેની
શ્રદ્ધાથી છોટા કાશી તરીકેની ઉપમા મળી છે, ત્યારે આ કળિયુગમાં
ભક્તિ સાથે ભજન કરવાની શીખ આપી હતી. તેમણે
ભક્તિ અને ભજનની તાકાત અદ્ભુત ગણાવી, આ સંસાધન દ્વારા કરાતી સેવા-ભક્તિની
કામગીરીને તેમણે બિરદાવી હતી. રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અને કચ્છ-સૌરાષ્ટ્ર
પ્રાંતના આર.એસ.એસ.ના અગ્રણી મહેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, હિન્દુ
સમાજના આરાધ્યદેવ હનુમાનજી દેવ આધુનિક વિશ્વમાં પણ ભક્તિ, શક્તિ સાથે લોકકલ્યાણ સેવા કરવા માટે
આદર્શ છે. અખંડ હનુમાન ચાલીસા પાઠના આરંભે
મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વસંતભાઈ કોડરાણીએ કહ્યું હતું કે, હનુમાનજીની ભક્તિ કરવાથી જીવનમાં અનેરી શક્તિનો અનુભવ થાય છે. આ ટ્રસ્ટ દ્વારા
છેલ્લાં 15 વર્ષથી શહેરનાં વિવિધ સ્થાનો ઉપર દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ, માનવીય
અભિગમ સાથે સેવાકાર્ય કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી જેરામભાઈ રાવલિયા (બાબા કાકા)એ ઉપસ્થિત
રહેલા સર્વે મહેમાનોનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, હાલના સમયમાં
પૃથ્વી પરની વર્તમાન પરિસ્થિતિ, યુદ્ધના માહોલ વચ્ચે દૂષિત વાતાવરણમાં
શુદ્ધીકરણ માટે આવા દશાંશ હોમાત્મક યજ્ઞનું આયોજન ખૂબ જરૂરી છે. આ પ્રસંગે માતૃસ્પર્શ
હોસ્પિટલના યુવા ડાયરેક્ટર આકાશ કોડરાણીએ સંસ્થા દ્વારા વધુને વધુ સેવાકીય કાર્ય સાથે શહેરમાં શિક્ષણનો વ્યાપ વધારવાની
દિશામાં કાર્ય કરવાની ખાતરી આપી હતી. જડેશ્વર મહાદેવ મંદિર ખાતે અખંડ હનુમાન ચાલીસા
પાઠના આરંભે સુધરાઈ પ્રમુખ વૈભવ કોડરાણી,
લોહાણા મહાજન પ્રમુખ પિન્ટુભાઇ ચંદે, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ડેનીભાઇ શાહ, કાનજીભાઈ શેઠ, સંજયભાઈ
દાવડા, નરેન્દ્ર પલણ, કારોબારી સમિતિના
ચેરમેન પાર્થ સોરઠિયા, પંકજ ઠક્કર, વિકાસભાઈ, ડી.સી.
ઠક્કર, જીવરામભાઈ ટાંક, મયૂરભાઈ ખત્રી,
રાજેન્દ્રાસિંહ જાડેજા, મહાદેવભાઈ, પ્રવીણ પટેલ, પ્રીતિબેન માણેક, જયશ્રીબેન ઠક્કર, મંદિરના પૂજારી રમણીકગિરિ ગોસ્વામી, બલદેવપુરી ગોસ્વામી, ચમનગિરિ ગોસ્વામી આયોજનમાં સહયોગી
બન્યા હતા. આ પ્રસંગે મુકેશભાઈ છાંગા, પરિવારના મધુભાઈ કોડરાણી,
રાજનભાઈ કોડરાણી, જગદીશભાઈ રૂપાભાઈ રબારી, મશરૂભાઈ રબારી, તેજસ મહેતા, સુરેશભાઈ શેઠ, મહેન્દ્રભાઈ, ક્રિપાલાસિંહ જાડેજા, બલરામભાઈ જેઠવા, શહેરના અગ્રણીઓ, રાજકીય પદાધિકારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેલા અગ્રણીઓનું સન્માન કરાયું હતું. સંચાલન શાસકપક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામીએ
કર્યું હતું.