ભુજ, તા. 6 : આજથી પચાસ વર્ષ પૂર્વે વિદેશની
ધરતી લંડનના વિલ્સડનમાં ઘનશ્યામ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાપૂર્વક પ્રતિમા સ્થાપિત કરી
સ્વામિનારાયણ મંદિર નિર્મિત થયું હતું. પહેલી જુલાઈના આ સ્થાપનાને 50 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે
તેના મહોત્સવના ઉપલક્ષમાં અનેકવિધિ કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે દિવ્યાંગો અને
મેડિકલ ક્ષેત્રે 51 લાખ રૂપિયાનો
દાન ભુજની લાયન્સ હોસ્પિટલને આજે અર્પણ કરાયો હતો. આ દાન એકત્ર કરવા અર્થે લંડનના 64 જેટલા એનઆરઆઈએ અમદાવાદથી ભુજ
સુધીની સાહસિક સાયકલ યાત્રા કાઢી સિંહફાળો આપ્યો હતો. આ સાહસિકોને પણ આજે સન્માનિત
કરાયા હતા. ભુજની એલએનએમ હોસ્પિટલ ખાતે શ્રુસુષાની સેવાની સુવાસ ફેલાવતા યોજાયેલા આ
કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ.ગુ. પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ હોસ્પિટલ
અને હરિભક્તોને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે,
ભગવાન સ્વામિનારાયણ પણ દર્દીઓની સેવા કરતા હતા અને તમે આ કાર્ય કરી ભગવાનનું
કામ કરી રહ્યાની લાગણી દર્શાવી આવા આરોગ્યલક્ષી કાર્યથી ભગવાન તમારા પર રાજી થશે. કચ્છના
દરેક હરિભક્તો આવી સેવાના ભાગીદાર બને તેવી લાગણી તેમણે દર્શાવી હતી. સ્વામી સુખદેવજીએ
પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં મહંત સ્વામીના
પગલા પડતાં હોસ્પિટલની ચડતી થઈ હતી અને અનુદાનનો ધોધ મહેતા વિવિધ વોર્ડ નામ જોતા જ
સમજી શકાય છે કે, આ સ્વામિનારાયણ હોસ્પિટલ છે. સંચાલોક દ્વારા
અહીં દર્દીઓની નિ:સ્વાર્થ ભાવે થતી સેવા થકી હોસ્પિટલની ચડતી થયાનું જણાવી હોદેદારોની
પ્રસંશા કરી હતી. દિવ્યાંગો અને આરોગ્ય ક્ષેત્ર માટે લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિર
દ્વારા એકત્ર થયેલા 51 લાખના દાનનો
ચક મંદિરના ટ્રસ્ટીઓ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજ મંદિરના મહંતસ્વામી દ્વારા
લાયન્સ હોસ્પિટલને અર્પિત કરાયો હતો. આ પૂર્વે તકતીનું અનાવરણ થયું હતું. ટ્રસ્ટીઓના
આમંત્રણને માન આપી પોતાના જન્મદિનના અતિ વ્યસ્તતાભર્યા કાર્યક્રમો વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સાંસદ શ્રી ચાવડાનો
આભાર મનાયો હતો. વિનોદભાઈએ જણાવ્યું હતુ કે જન્મભૂમિ-માતૃભૂમિ માટે કચ્છીઓના આ અનેરો
સ્નેહ અને દાતાઓની દાતારી થકી જે સેવા કાર્યોને તમે ઉજાગર કરો છો તે અભિનંદનીય છે અને
સેવા સુવાસ ફેલાવતા આ કાર્ય મારા માટે પણ યાદગાર દિવસ રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ
મોદીએ દુનિયાને માર્ગદર્શન આપી સેવા માટે પ્રેરિત કર્યા છે અને દેશમાં 25 કરોડ ગરીબીમાંથી બહાર આવ્યા
છે. બીજીતરફ આ કાર્યક્રમ દરમ્યાન સાંસદ વિનોદભાઈના જન્મદિન નિમિત્તે વિલ્સડન મંદિરે
3.50 લાખના ખર્ચે ટી.બી.ના દર્દીઓ
માટે 750 રાશનની કિટ તૈયાર કરી છે. જેનું
વિતરણ લાયન્સ હોસ્પિટલ મધ્યે વિલ્સડન મંદિરના બેનર તળે થશે. વિલ્સડન મંદિરના ચેરમેન
કુરજી અરજણ કેરાઈ અને મંદિરની સુવર્ણ જયંતી મહોત્સવના કન્વીનર અવનીશ વાલજી વેકરિયાએ
આજના આ કાર્યક્રમની રૂપરેખા સમજાવતા જણાવ્યું હતું કે, મંદિરની સુવર્ણ જયંતી મહોત્સવને યાદગાર બનાવા
અનેકવિધ કાર્યોનું આયોજન ઘડાયું છે. લંડનના જ મંદિરના યુવાઓના મેક એન્ડ ચેન્જ ફાઉન્ડેશન
સાથે રાખી નારાયણ સેવા કેમ્પ અને ચેરિટી અર્થે સાહસિક સાયકલયાત્રાનું આયોજન છેલ્લા
અઢી વર્ષથી ઘડી કાઢયા બાદ આ સેવા પ્રકલ્પ સફળ થયાનો આનંદ છે. આ કાર્ય માટે અવનીશભાઈ
છેલ્લા ત્રણેક મહિનાથી ભારત આવી પહોંચી આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડવા બદલ ટ્રસ્ટીઓ
અને ભુજ લાયન્સ હોસ્પિટલના ભરતભાઈ મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા. ભરતભાઈએ સંતો-મહંતો
અને ભાગ્યશાળી દાતાઓની ભાવવંદના કરી જણાવ્યું કે, આ હોસ્પિટલ
પર નરનારાયણ દેવની કૃપા છે. અને તે હોસ્પિટલના કણ-કણમાં હોવાનું તેઓ માની રહ્યા લાગણી
દર્શાવી હતી. આ સેવા પ્રકલ્પ અર્થે લંડનથી 150 જેટલા લોકો અહીં આવી પહોંચ્યા હતા. નાના-મોટા 64 સાહસિક સાયકલધારીઓ અમદાવાદના
કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી યાત્રા શરૂ કરી ત્રણ દિવસમાં 350 કિ.મી. અંતર કાપી ગઈકાલે ભુજ
પહોંચ્યા હતા. આ સાઈકલિસ્ટોનું સંતો-મહંતો અને સાંખ્યયોગી બહેનો દ્વારા સન્માનિત કરી
યાદગાર મોમેન્ટો અપાતા અનેરો ઉત્સાહનો માહોલ છવાયો હતો. આ કાર્યક્રમમાં લંડનથી વિલ્સડન
મંદિરના ચેરમેન કુરજીભાઈ અને સુવર્ણ જયંતી મહોત્સવના કન્વીનર અવનીશભાઈ ઉપરાંત મંત્રી
વિશ્રામભાઈ હીરજી ભુડિયા (ગોડપર), ખજાનચી
પરબત ખીમજી હીરાણી (બળદિયા) અને ટ્રસ્ટીઓ કુરજી દેવરાજ વેકરિયા (નારાણપર), દેવજી ખીમજી ખેતાણી (સુખપર-ઉગમણી), ગોપાલ કાનજી હિરાણી
(બળદિયા) અને ધનસુખ ખીમજી ભુડિયા (કોડકી) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજના કાર્યક્રમમાં
લાયન્સ કલબના અભય શાહ, અજિતસિંહ રાઠોડ, ઈશાન ટાંક, શૈલેન્દ્ર રાવલ, અનુપ
કોટક, મનસુખ શાહ, નવીન મહેતા, શૈલેશ માણેક, ભૂપેન્દ્ર પટેલ અને નીતિન મોરબિયા ઉપસ્થિત
રહ્યા હતા. સંચાલન જીતેન ઠક્કરે સંભાળ્યું હતું. - 51 લાખના દાનના દાતાઓ : 51 લાખના દાન માટે સહયોગી બનેલા
વિલ્સડન મંદિરના મુખ્યદાતા એવા લાલજી કુંવરજી હીરાણી (સુખપર-રોહા), વીરજી ધનજી ગામી (કેરા), લક્ષ્મણ પ્રેમજી રાબડિયા (નારાણપર), શિવજી કલ્યાણ કેરાઈ
(નારાણપર-ઓસ્ટ્રેલિયા), લક્ષ્મણ લાલજી કેરાઈ (નારાણપર) પરિવાર
ઉપરાંત અન્ય હરિભક્તોનો સમાવેશ થાય છે.