નવી દિલ્હી, તા.23: તેહરાનનાં
પરમાણુ કાર્યક્રમ મુદ્દે હવે ઈરાન ઉપર અમેરિકા ગમે ત્યારે આક્રમણ કરે તેવી આશંકા
અને તનાવની ચરમસીમાને ધ્યાને રાખતાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાન
છોડવાની સલાહ આપી છે. આ સાથે જ નાગરિકોને પોતાનાં યાત્રા અને ઓળખનાં દસ્તાવેજ
તૈયાર રાખવા અને દૂતાવાસથી સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જે લોકોએ
દૂતાવાસમાં નોંધણી નથી કરાવી તેમને નામ નોંધણી પણ કરાવી લેવા માટે કહેવામાં આવ્યાં
છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નાગરિકોને સૂચના આપી છે કે, બદલાતી સ્થિતિને ધ્યાને
રાખતા વિમાન સહિતનાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને ઈરાન છોડી જાય. આ ઉપરાંત
નાગરિકોને પોતાનાં દસ્તાવેજો પણ તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સીવાય
હેલ્પ લાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. તેહરાન, મરાહદ
સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનોના કારણે સુરક્ષા જોખમમાં મૂકાય તેવી સ્થિતિને
ભારતે ગંભીરતાથી ધ્યાને લીધી છે. તાણ વધતાં અમેરિકા હુમલા કરે તેવી આશંકા ધ્યાને
લેતાં પણ એડવાઈઝરી જારી કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, પાંચ
જાન્યુઆરીના પણ વિદેશ મંત્રાલયે નાગરિકોને ઈરાનની બિનજરૂરી યાત્રા ટાળવા સલાહ આપી
હતી.