નવી દિલ્હી, તા. 26 : ભારતીય અંતરિક્ષ
યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પહોંચી ગયા છે. ચારેય
અવકાશયાત્રીનું સ્ટેશન ઉપર રહેલા અંતરિક્ષયાત્રીઓએ સ્વાગત કર્યું હતું. બાદમાં ચારેય
મહેમાનોને વેલકમ ડ્રિંક આપવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતનું અવકાશ મથક ઉપર પહોંચવાનું
સપનું પૂરું થયું છે. પહેલી વખત કોઈ ભારતીય અંતરિક્ષયાત્રી સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યો
છે. હવે આગામી 14 દિવસ આઈએસએસ ઉપર રહીને ગ્રુપ
દ્વારા અલગ અલગ પ્રયોગો કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા પછી શુભાંશુ
શુક્લાએ તેમના સ્વાગત સમારોહ દરમિયાન હિન્દીમાં બોલતાં દેશવાસીઓને સંદેશ આપતાં કહ્યું
હતું કે, તમારા પ્રેમ અને આશીર્વાદથી હું સુરક્ષિત રીતે
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચી ગયો છું. અહીં ઊભા રહેવું ખૂબ જ સરળ લાગે છે,
પણ થોડું મુશ્કેલ છે. માથું થોડું ભારે છે, મને
થોડી તકલીફ થઈ રહી છે, પણ આ ખૂબ જ નાની બાબતો છે. થોડા દિવસોમાં
તેની આદત પડી જશે. મને લાગે છે કે, તમે બધા મારા જેટલા જ ઉત્સાહિત
છો. મને ખાતરી છે કે, આગામી 14 દિવસ ખૂબ જ અદ્ભુત રહેશે. કારણ
કે આપણે ઘણું સંશોધન કરવાના છીએ. જય હિંદ જય ભારત. એક્સિઓમ-4 મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સુલ સ્પેસ
સ્ટેશન ઉપર નક્કી સમયથી 20 મિનિટ પહેલા
ડોક થયું હતું. બાદમાં 1-2 કલાકની તપાસ
થઈ હતી, જેમાં હવાના દબાણ અને સ્થિરતાની પુષ્ટિ કરવામાં
આવી હતી. તમામ પ્રક્રિયા બાદ ક્રૂએ આઈએસએસમાં પ્રવેશ કર્યો હતો. 28 કલાકની ઉડાન બાદ શુભાંશુ અને
તેમની ટીમનું આઈએસએસમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયે આઈએસએસ
ઉપર સાત અંતરિક્ષયાત્રી છે, જેમાં ત્રણ
નાસાના છે અને એક જાપાન તેમજ ત્રણ રશિયાના અંતરિક્ષયાત્રી છે.