• શનિવાર, 07 જૂન, 2025

જીતના જશ્નમાં શોકની લહેર : ભાગદોડમાં 11 મોત

નવી દિલ્હી, તા. 4 :  આઈપીએલમાં પહેલીવાર ચેમ્પિયન બનેલી આરસીબીની વિજય પરેડ અને અભિવાદન સમારોહમાં બહુ મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો ઊમટી પડતાં મચેલી ભાગદોડની ગોઝારી દુર્ઘટનામાં કમ સે કમ 11 જણ માર્યા ગયા હતા તેમજ 33 ઘવાયા હતા. જે પૈકી અમુકની હાલત ગંભીર બતાવાઈ રહી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતનો જશ્ન માતમમાં ફેરવાયા બાદ ભાજપે ગેરવ્યવસ્થાને લઈને કર્ણાટક સરકાર સામે પ્રહારો કર્યા હતા અને મુખ્યમંત્રી સિદ્ધારામૈયાના રાજીનામાની માંગ કરી હતી, તો સિદ્ધારામૈયાએ જણાવ્યું હતું કે 3પ હજારની ક્ષમતા સામે ત્રણેક લાખ લોકો આવી પહોંચતાં દુર્ઘટના સર્જાઈ હતી અને આયોજન ક્રિકેટ બોર્ડનું હતું.  મૃતકોના પરિવારજનો માટે રૂા. 10 લાખ સહિતની સહાય જાહેર કરાઈ હતી અને ડેપ્યુટી કમિશનરની તપાસના આદેશ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.  મોદીએ કહ્યું હતું કે, આ દુર્ઘટના હૃદયદ્રાવક છે. પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના છે. રાહુલે કહ્યું હતું કે, માનવ જીવનથી મોટો  કોઇ જશ્ન નથી. સ્ટેડિયમ બહાર ભાગદોડ છતાં અંદર સમારોહ જારી રાખવા બદલ આયોજકો તેમજ તંત્રોની ટીકા થઈ રહી છે.  જો કે, ભાગદોડના હેવાલ મળતાં કાર્યક્રમ વહેલો આટોપી લેવાયો હતો. મંગળવારે આઈપીએલની ફાઈનલમાં પંજાબ કિંગ્સ ઈલેવન સામે આરસીબીને જીત મળી હતી. જેને પગલે બેંગ્લુરુમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. ટીમને સન્માનિત કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિજયોત્સવમાં સામેલ થવા માટે ક્રિકેટ ચાહકો રીતસર જશ્ન ઘેલા બન્યા હતા અને હજારોની સંખ્યામાં મેદની ઊમટી પડી હતી. જોતજોતામાં ભીડ એટલી ભીષણ બની ગઈ હતી કે, અનેક લોકો તો ધક્કામુક્કીમાં પણ ઘવાયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. મંગળવારની રાતે આઈપીએલ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી અને આરસીબીના અન્ય ખેલાડીઓએ આજે બેંગ્લુરુમાં ચાહકો સાથે જશ્ન મનાવવાની જાહેરાત કરી હતી. આરસીબીની ટીમ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાને મળીને વિક્ટ્રી પરેડ યોજવાની હતી. જો કે, આમાં લાખોની સંખ્યામાં ભીડ એકઠી થઈ જાય તો કોઈ દુર્ઘટના ઘટી શકે તેવી આશંકાએ પરેડને મંજૂરી મળી નહોતી. આખરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ખેલાડીઓનાં સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જો કે, જીતનો આ ઉમંગ કરુણ કલ્પાંતમાં પલટાઈ ગયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. આ દુર્ઘટના પાછળ આયોજકોની બેદરકારી અને ભીડ નિયંત્રણમાં ચૂકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર બનાવની તપાસ કરી રહી છે.  ભાજપે આ દુર્ઘટના માટે કર્ણાટક સરકાર જ સંપૂર્ણપણે જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપનું કહેવું છે કે, આ કાર્યક્રમ કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી વિના યોજી નાખવામાં આવ્યો હતો અને તેનાં હિસાબે જ કરુણાંતિકા સર્જાઈ છે. લોકો  મરતા હતા અને નાયબ મુખ્ય મંત્રી ક્રિકેટરો સાથે રીલ શૂટ કરતા હતા. બીસીસીઆઈનાં ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ અકસ્માત અંગે અફસોસ પ્રગટ કરતાં કહ્યું હતું કે, આ ઘટના આઘાત આપનારી છે. અમને અંદાજ નહોતો કે આ પ્રકારનું કંઈક બની જશે.  પ્રત્યક્ષદર્શી લોકોના હવાલેથી આવતા અહેવાલો અનુસાર આરસીબીની ટીમના સન્માન સમારોહ પહેલાં જ મોટી સંખ્યામાં લોકો અંદર પ્રવેશવા ધક્કામુક્કી કરવા માંડયા હતા અને પછી ભીડ બેકાબૂ બની જતાં નાસભાગ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd