રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પાકિસ્તાને આપણા શહેરી વિસ્તારો અને લશ્કરી મથકો ઉપર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કરીને ભારત સામે જંગે ચડવાનું દુ:સાહસ કર્યું તેનો જવાબ ભારતે આપ્યો છે - આપવાની શરૂઆત કરી છે, ત્યારે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો અને યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારીએ ભારત અને પાકિસ્તાનને યુદ્ધ વિસ્તરે નહીં તે માટે પગલાં ભરવાનો અનુરોધ કર્યો છે, પણ ભારતે જવાબ આપ્યો છે કે પાકિસ્તાન જો લશ્કરી મથકો ઉપર હુમલા કરે તો અમારો જવાબ ખૂબ, ખૂબ મક્કમ હશે. આતંક સામે સંયમ નહીં, સજા હોય. અમેરિકા અને યુરોપના દેશો આતંકવાદનો વિરોધ કરે છે. પહેલગામમાં નિર્દોષ નાગરિકોના જાન ગયા તે બદલ દુ:ખ અને સહાનુભૂતિ વ્યક્ત કરે છે - પણ તેથી શું ? મૂળ તો પહેલગામના હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનના ખોળે બેઠેલા અને ખભા ઉપર ચડેલા આતંકીઓના અડ્ડાઓ ઉપર હુમલા કરીને પચીસ મિનિટમાં આતંકવાદીઓનો સફાયો કર્યો. આમ કરવા પહેલાં ખુદ વડાપ્રધાન મોદીએ વારંવાર ચેતવણી આપી. એક પછી એક `અહિંસક આક્રમક પગલાં જાહેર કર્યાં અને વિશ્વના લગભગ તમામ દેશોના એલચીઓનો સંપર્ક સાધીને પરિસ્થિતિથી વાકેફ કર્યા - ત્યારે પણ અમેરિકાને સૂઝ્યું નહીં કે પાકિસ્તાન ઉપર દબાણ કરે - આતંકીઓને ભારતના હવાલે કરે ? નાપાક હુમલા નહીં કરવા તાકીદ કરે ? અને ભારતે આતંકીઓ ઉપર હુમલો કર્યા પછી પણ વિદેશી નેતાઓને પુરાવા બતાવ્યા. નાગરિકો ઉપર કે કોઈ ધર્મસ્થાનો ઉપર હુમલા થયા નથી - હકીકતમાં આતંકીઓના કફન ઉપર પાકિસ્તાની ઝંડા લપેટવામાં આવ્યા અને જનાજામાં નાપાક સૈનિકો જોડાયા. આતંકીઓ `શહીદ' બન્યા. આ પુરાવા નથી ? અમેરિકા ભૂલી જાય છે કે, ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને ઠાર માર્યો - તો ભારત દુશ્મનોનો સફાયો કરે તેમાં ખોટું શું છે ? અમેરિકા કરે તે સ્વબચાવ અને આપણે કરીએ તે આક્રમણ ? અમેરિકાના વિદેશ પ્રધાને લડાઈ આગળ નહીં વધારવાની સલાહ બંને દેશોને આપી છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે સંવાદ શરૂ કરાવવા માટે મદદ કરવાની ઓફર કરી છે. ભારત સાથે મળીને આતંકવાદ વિરોધી લડત કરવાની વાત કરે છે ! પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. ભારત ઉપર અનેક વખત હુમલા થયા - સ્વામિનારાયણ - અક્ષરધામ મંદિરથી લઈને ભારતની લોકશાહીના મંદિર - સંસદ ભવન ઉપર પણ આક્રમણ થયું - છતાં ભારતે સંયમ જાળવ્યો તે નબળાઈ હતી ?! યુરોપના 27 સભ્યદેશોના યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ આતંકવાદનો સખત વિરોધ કરે છે, પણ જે જવાબદાર હોય તેને સજા થવી જોઈએ એમ પણ કહે છે ત્યારે પાકિસ્તાનની ચોરી ઉપર સીનાજોરી કેમ ચલાવી લેવાય ? હવે શત્રાગારમાંથી મિસાઇલ્સ છૂટયા, ડ્રોન ઊડયાં પછી સંયમની સલાહ અપાય છે ! આ સલાહ - દબાણ પાકિસ્તાનના જનરલ મુનીર ઉપર કરવું જોઈએ. ભારતે વારંવાર સ્પષ્ટતા કરી કે અમે આતંકીઓને ખતમ કરીએ છીએ. પાકિસ્તાની નાગરિકો ઉપર અથવા લશ્કરી મથકો ઉપર હુમલા નથી. આમ છતાં આપણા શહેરો અને મથકો ઉપર મિસાઇલ્સ છોડીને એમણે પોતાનું નાક કપાવ્યું છે. ભારતને જાણે આમંત્રણ આપ્યું કે આવો અમારા ઉપર આક્રમણ કરો ! અને તે પછી ભારતે પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ ભેદીને હુમલા કર્યા છે. હજુ પણ જો પાકિસ્તાની જનરલને `ખુજલી' હોય તો તૈયાર રહે ! જનરલ મુનીરે ભારતને છેડીને મધપૂડો છંછેડયો તેનું કારણ છે ઘરઆંગણે જનરલની હાંસી ઊડી રહી છે. આતંકવાદી અડ્ડા ખેદાનમેદાન કરીને આપણે અંગૂઠો બતાવ્યો છે, તેથી રહીસહી તાકાત અને ટાંગ ઊંચી બતાવવાના પ્રયાસ છે ! પાકિસ્તાનમાં નાક નહીં તો હાક વાગે છે એમ લોકોને બતાવવા સેનાને બલિનો બકરો બનાવી રહ્યા છે. અત્યારે વિશ્વમાં અશાંતિ અને અજંપો છે. ઇઝરાયલ સ્વબચાવ માટે લડે છે. યુક્રેન તેની હયાતિ - અસ્તિત્વની આઝાદી માટે લડે છે. સત્તાવાર આતંક સામેની આ લડાઈ ગણાય કે નહીં ? છતાં યુદ્ધવિરામ થાય છે અને ભંગ પણ થાય છે. ભારતે `સ્વદેશી વિદેશનીતિ' અપનાવી છે, ત્યારે આતંકવાદ સામેની લડાઈ આપણે સ્વબળ ઉપર લડી રહ્યા છીએ. સહાનુભૂતિ સૌ બતાવે છે, સલાહ-ભાષણો આપે છે, પણ આતંકવાદ સામે લડવા કોણ તૈયાર છે ? હવે યુરોપમાં પણ પડછાયા લાંબા થઈ રહ્યા છે ત્યારે આતંકના જન્મસ્થાન અને તેને પોષતા દેશ પાકિસ્તાનને સલાહ નહીં, સજા આપવાની જરૂર છે. અણુબોમ્બની ધમકીથી ભારતને ડરાવી નહીં શકાય. ભારતે હવે બીજા લોકો શું કહેશે ? તેવી ચિંતા કરવાની જરૂર નથી. પાકિસ્તાનને આતંકવાદી દેશ કહેવા, કબૂલવા ઘણા મિત્રદેશો હજુ તૈયાર નથી, એમના માટે હવે આપણે માન-આદર રાખવાની જરૂર નથી અને આપણે આતંક સામે ભરેલાં પગલાંથી કોણ રાજી કે નારાજ હોય તેની પરવા કરવી જરૂરી નથી. અમેરિકા સંયમ રાખવાની સલાહ આપીને `ન્યાયાધીશ' બનવા માગે છે. સામાન્ય રીતે યુદ્ધ આગળ વધે અને પાકિસ્તાનના દિવસો ભરાઈ જાય ત્યારે યુદ્ધવિરામની અને સમાધાનની વાત શરૂ થાય, પણ ભારત મક્કમ છે. નેહરુનો ઇતિહાસ અને ઐતિહાસિક ભૂલનું પુનરાવર્તન મોદી કરે જ નહીં. નેહરુની ભૂલનાં કારણે કાશ્મીરનો વિસ્તાર આજે પાકિસ્તાનના કબજામાં છે. 1965માં ભારતનો વિજય અને હાથ ઉપર હોવા છતાં સમાધાન કરવા સોવિયેત રશિયાએ દબાણ કર્યું અને તાશ્કંદમાં આપણે ભારતના `લાલ' ગુમાવ્યા. શક્ય છે કે - પાકિસ્તાન ઉપર યુદ્ધવિરામ માટે જ માગણી ઊઠે અને દબાણ થાય. હવે સમજૂતી અને સમાધાન નહીં, પાકિસ્તાનની શરણાગતિ - એક જ વિકલ્પ છે. આતંકવાદીઓ ભારતના હવાલે કરો: ન્યાય અમે કરીશું - ખુલ્લી અદાલતમાં. આ લડાઈ કાશ્મીરનાં નામે નથી, આતંકની સામે છે.