ગાંધીધામ, તા. 29 : શહેરની મુખ્ય બજારમાં મંદ ગતિથી
ચાલતાં વિકાસકામોને કારણે વેપારીઓમાં ભારે નારાજગી છે, તેવામાં વરસાદી પાણીનાં નાળાં ઉપર વાહન પાર્કિંગની
વ્યવસ્થા મુદ્દે સ્થાનિક વેપારીઓએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિતના સમક્ષ રજૂઆત કરી
હતી. મુખ્ય બજારમાં - ઝવેરી બજારમાં વરસાદી પાણીની લાઈનનું કામ છેલ્લા કેટલાય સમયથી
ધીમી ગતિએ ચાલી રહ્યંy છે. અહીં વેપારીઓની દુકાનમાં અવરજવર માટે
યોગ્ય વ્યવસ્થા ન કરાઈ હોવાનાં કારણે વેપારીઓ અને ગ્રાહકોને અગવડતા પડતી હોવાની ફરિયાદ
સમયાંતરે ઊઠી હતી. હાલમાં અહીં ચાલતા વરસાદી
પાણીના નિકાલ માટેનાં નાળાં ઉપર દ્વિ-ચક્રીય વાહન પાર્કિંગ ન થઈ શકે તેવાપ્રકારે ઊંચાઈ રાખવાના મુદ્દે વેપારીઓમાં નારાજગી પ્રસરી હતી. ગાંધીધામ મુખ્ય બજાર વેપારીના
જુદા-જુદા સોશિયલ મીડિયા ગ્રુપોમાં મહાપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વેપારીઓના પ્રશ્નો ઉકેલવાની
દિશામાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ એક્શન મોડમાં
આવી ગયા હતા.મહાપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ,
શાસક પક્ષના નેતા ભરત મીરાણી સહિતના પાલિકાના ટેકનિકલ સ્ટાફ સાથે બજારમાં
આવી પહોંચ્યા હતા. પાલિકાના ઈજનેર દ્વારા એક તબક્કે જડ વલણ પકડી રાખ્યું હતું. જો કે,
ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વેપારીઓનાં હિતો જળવાય તે પ્રકારે કામ કરવા
સૂચના આપતાં મામલો થાળે પડયો હતો. આ ઉપરાંત ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ દ્વારા પણ
વેપારીઓના પ્રશ્નો ઉકેલાય તે પ્રકારે કામ કરવાની પણ તૈયારી દર્શાવી હતી, જેને લઈને મામલો થાળે પડયો હતો. આ વેળાએ ગાંધીધામ વેપારી એસો.ના પ્રમુખ
રાજુભાઈ ચંદનાણી તથા દિનેશભાઈ, મનસુખભાઈ
કોડરાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.