ભુજ, તા. 29 : ભૂતકાળમાં અબડાસામાં અનેક કૌભાંડો
આચરાઈ ચૂક્યા છે, ત્યારે હવે
ફરી એક સો ચોરસ વારના પ્લોટની બોગસ સનદો બનાવવાના પેંતરા શરૂ થયા છે ને લાભાર્થીઓને
સદંતર ખોટી સનદો આપી ગામડાંઓમાં પ્લોટ ફાળવાયા હોવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે આ વાત સાંભળી ખુદ ટી.ડી.ઓ. પણ ચોંકી ઊઠયા હતા. સૂત્રો પાસેથી મળેલી
જાણકારી પ્રમાણે ભૂતકાળમાં ધરતીકંપ વખતે ખોટી સહીઓ કે બોગસ બેંક ખાતાં ખોલાવી મકાન
સહાય ઓળવી ગયેલા કૌભાંડીઓ હવે નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. સરકારી અધિકારીઓની
ખોટી સહીઓ, ખોટા રબર સ્ટેમ્પ બનાવી સરકારી પ્લોટની ફાળવણી પણ
કરી દેતા હોય છે. કેટલાક ગામોમાં તલાટીઓ સુધી
પહોંચેલી આ સો ચોરસ વારની સનદો જોઈ ખુદ તલાટીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. કેમ કે,
હાલમાં કોઈને પ્લોટ ફાળવવાની કોઈ યોજના નથી અને આ પ્રકારની કોઈ જોગવાઈ
હાથ ધરાઈ નથી તો સનદો આવી કેમ? નવાઈની વાત તો એ છે કે,
સો ચોરસ વારના પ્લોટ એવી વ્યક્તિ કે લાભાર્થીને ફાળવાય કે જેમની ગામમાં
કે અન્ય ક્યાંય કોઈ જમીન કે ઘર નથી એટલે ઘરનું ઘર પોતાનું બનાવી શકે એવા લાભાર્થીઓને
પ્લોટ આપવામાં આવતા હોય છે. તેમ છતાં એવા લોકોનાં નામની આ બોગસ સનદો હતી, જેમના તો ગામમાં ઘર છે અને ગ્રામ પંચાયત આકારણી રજિસ્ટરમાં પણ નોંધાયેલા છે.
આમ તો કોઈ પણ કૌભાંડ આચરવા માટે અબડાસા એ એપીસેન્ટર હોવાથી બિન્ધાસ્ત આવી સનદો બનાવી
લેવામાં આવી ને સરકારી અધિકારીઓની તેમાં ખોટી સહીઓ કરી લેવી એ મોટો ગુનો બને છે,
પરંતુ મળેલી જાણકારી પ્રમાણે જે લોકોનાં નામની સનદો છે તેઓને ક્યાંક
બોલાવીને નિવેદન પણ લેવામાં આવ્યા છે અને અંદરખાનેથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ બાબતે નલિયા તાલુકા વિકાસ અધિકારી સુમિલ ચોધરીને પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે,
હાલમાં આવા સો ચોરસ વારના પ્લોટ ફાળવવાનો કોઈ કાર્યક્રમ પણ નક્કી નથી
થયો તો સનદ આવી કેમ? પોતાના ધ્યાનમાં આવતું નથી જો સર્કલ કક્ષાએ
હોય તો વિષયની તપાસ કરી બોગસ સનદ કોણે બનાવી છે. આ બાબતે વિગતો મેળવવાની સૂચના પણ તેમણે
આપી હતી.