નવી દિલ્હી, તા. 29 : આઇપીએલ-2026 સીઝન હજુ સમાપ્ત થઇ નથી. તે
પહેલા જ લખનઉ સુપર જાયન્ટસ ટીમે મોટો નિર્ણય લઇને રિષભ પંતને કપ્તાનપદની જવાબદારીમાંથી
મુકત કર્યો છે. એલએસજી ફ્રેંચાઇઝીના સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પંતે
ખુદે કપ્તાન પદ છોડવાની ઇચ્છા વ્યકત કરી હતી. એ પછી ટીમ મેનેજમેન્ટે તેના નિર્ણયનો
તત્કાલ અસરથી સ્વીકાર કર્યો છે. પંતના નિર્ણયનું
અમે સન્માન કરીએ છીએ. લખનઉ સુપર જાયન્ટસના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ટોમ મૂડીએ આ મામલે
પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પંતે ટીમ માટે
જે યોગદાન આપ્યું તેને યાદ રખાશે. તેના આભારી છીએ. મૂડિએ કહ્યું અમારું ફોકસ ટીમને
મજબૂત કરવા પર છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પંત 202પ સીઝનમાં વિક્રમી 27 કરોડની રકમ સાથે લખનઉ ટીમમાં સામેલ થયો હતો. તેની કપ્તાનીમાં
બન્ને સીઝનમાં ટીમ તળિયે રહી હતી. 202પમાં પંતે 13 ઇનિંગમાં 269 અને 2026 સીઝનમાં 14 ઇનિંગમાં 312 રન કર્યાં હતા. તેની નિષ્ફળતા
ટીમને ભારે પડી હતી. વર્તમાન સીઝનમાં લખનઉ ટીમ 10મા નંબર પર રહી બહાર થઇ છે.