• શનિવાર, 30 મે, 2026

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્ત્વપૂર્ણ એમઓયુ

ભુજ, 29 : અદાણી ગ્રુપના કેપેબિલિટી-બિલ્ડિંગ પ્લેટફોર્મ `અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન'એ કચ્છની 11 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)ના કાયાકલ્પ માટે ગુજરાત સરકાર સાથે બે મહત્ત્વપૂર્ણ એમઓયુ કર્યા છે, આ ભાગીદારી હેઠળ ઉદ્યોગોને જરૂરી સ્કાલિંગ અને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવામાં આવશે. કચ્છ જિલ્લો અત્યારે રિન્યૂએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય હબ તરીકે ઊભરી રહ્યો છે. આ પહેલનો હેતુ સ્થાનિક યુવાનોને પ્રદેશના આગામી વિકાસમાં ભાગીદાર બનવા માટે જરૂરી કૌશલ્યો અને એક્સપોઝર આપવાનો છે. ભુજના ગેઇમ્સ  ઓડિટોરિયમ ખાતે યોજાયેલા `કર્મ ઉત્સવ' કાર્યક્રમ દરમિયાન આ એમઓયુ કરવામાં આવ્યા હતા. આ સહયોગ ટેકનિકલ શિક્ષણને રોજગારની જરૂરિયાતો સાથે જોડવા અભ્યાસક્રમની ગુણવત્તા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ, ફેકલ્ટી ડેવલપમેન્ટ, પ્રેક્ટિકલ એક્સપોઝર અને પ્લેસમેન્ટ સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપરાંત કચ્છ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત સરકારના અધિકારીઓ તેમજ અદાણી ગ્રુપના વરિષ્ઠ પદાધિકારીઓ અને કચ્છની તમામ 11 સરકારી આઈટીઆઈના 600થી વધુ વિદ્યાર્થી અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. ASE  દ્વારા વિદ્યાર્થીઓને `સ્કીલ ટુ એમ્પ્લોય' આમંત્રણ પત્રો એનાયત કરાયા હતા. ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે 22 વિદ્યાર્થીને `સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ' અને ASE ના ટ્રેન-ધ-ટ્રેનર પ્રોગ્રામ હેઠળ 30 ઇન્સ્ટ્રક્ટર્સને પ્રમાણપત્રો અપાયા હતા. અદાણી ઇકો સિસ્ટમમાં કાર્યરત આઈટીઆઈ સ્નાતકોએ પણ તેમની સફળતાની સફર શેર કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ આત્મનિર્ભર કાર્યબળના નિર્માણમાં ઉદ્યોગ-અનુકૂળ કૌશલ્યના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, `અમારો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વૈશ્વિક સ્તરની ટેકનિકલ તાલીમ આપવાનો અને સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ દરેક યુવાન સ્વનિર્ભર બને તે સુનિશ્ચિત કરવાનો છે.' રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણની તકોનો લાભ ઉઠાવી સાર્થક કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, `કુશળ યુવાનો આપણા દેશની સાચી તાકાત છે અને તેઓ ભારતના આર્થિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મોટું યોગદાન આપી શકે છે.' અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે, `કચ્છ એ અમારી કર્મભૂમિ છે અને અમે તેના ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. ગુજરાત સરકાર અને સ્થાનિક ITIs  સાથેની ભાગીદારી દ્વારા અમારો હેતુ એક એવું સક્ષમ અને કુશળ વર્કફોર્સ તૈયાર કરવાનો છે જે લાંબા ગાળાના પ્રાદેશિક પરિવર્તનમાં મદદરૂપ બને.'`સ્કીલ ટુ એમ્પ્લોય' અભિગમ દ્વારા અજઊ ક્લાસરૂમ લર્નિંગને વાસ્તવિક ઓપરાટિંગ એક્સપોઝર સાથે જોડે છે. સિમ્યુલેશન, સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) અને વૈશ્વિક સ્તરના અભ્યાસક્રમની મદદથી તે પ્રથમ દિવસથી જ પ્રોડક્ટિવ વર્કફોર્સ તૈયાર કરવા માગે છે. આ પહેલથી પ્રતિભાઓનું પલાયન અટકશે અને કચ્છનો વિકાસ સ્થાનિક પ્રતિભાઓ દ્વારા જ થશે. ASE દ્વારા ITIsના પરિવર્તન માટે કલ્પના કરાયેલા 10 મુદ્દાના એજન્ડાને હવે દેશના અન્ય રાજ્યોમાં `ગુજરાત મોડેલ' તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.  

Panchang

dd