ભુજ, તા. 27 : વૈશાખ માસના અંતિમ દિવસે કચ્છમાં
ધૂપ-છાંવ ભર્યા ધૂંધળા માહોલ વચ્ચે ઉકળાટના પ્રભાવથી જનજીવન આકુળવ્યાકુળ બન્યું હતું.
મહત્તમ પારો ગગડવા છતાં તાપ-ઉકળાટમાં જોઇએ તેવી રાહત મળી નહોતી. ગઇકાલે 43 ડિગ્રીએ રાજ્યમાં સૌથી વધુ
તપેલા અંજાર, ગાંધીધામમાં પારો ત્રણ
ડિગ્રી ગગડીને 40.6 ડિગ્રીએ પહોંચ્યો
હતો. રાજ્યમાં ડિસા પછી અંજાર, ગાંધીધામમાં
સર્વાધિક ગરમી અનુભવાઇ હતી. જિલ્લા મથક ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ પારો
39.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. વાતાવરણમાં
ભેજનાં ઊંચા પ્રમાણના લીધે પરસેવે રેબઝેબ કરી મૂકે તેવો બફારો કચ્છી માડુઓએ અનુભવ્યો
હતો. કંડલા પોર્ટ અને કંડલા (એ.)માં લઘુતમ તાપમાન 30, તો ભુજ અને નલિયામાં લઘુતમ પારો 29 ડિગ્રી જેટલો ઊંચો નોંધાતા
રાતના પણ કચ્છી જનજીવને ઉકળાટ યુક્ત અકળામણ અનુભવી હતી. હવામાન વિભાગે વાતાવરણમાં મોટા
ફેરફારની સંભાવના નકારી છે. મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા પણ હવામાન
નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જાણકારોનું માનીએ, તો હવે ચોમાસાંનો સમયગાળો જેમ જેમ નજીક આવશે
તેમ તેમ વરસાદી આળંગસમો ઉકળાટ પણ વધતો જશે.