નવી દિલ્હી,તા. 20 : અમેરિકા અને
ઈઝરાયલ ઈરાન પર ચોમેરથી ભીંસ વધારી રહ્યા છે. સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમેની સહિત ટોચના
નેતાઓને ભીષણ યુદ્ધમાં ખોઈ બેસનાર ઈરાનને શુક્રવારે બે મોટા ઝટકા લાગ્યા હતા. ઈઝરાયલી
હવાઈ હુમલામાં આજે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના પ્રવક્તા મોહમ્મદ
નૈની અને બાસિઝ ફોર્સના ગુપ્તચર તંત્રના પ્રમુખ જનરલ ઈસ્માઈલ અહમદીનું મોત થઈ ગયું
હતું. બીજી તરફ તાણગ્રસ્ત ક્ષેત્રમાં અમેરિકા પોતાના સૈન્યની તૈનાતી ગતિભેર વધારી રહ્યું
છે. ઉપગ્રહ તસવીરો પરથી જાણવા મળ્યું હતું કે, ત્રણ અમેરિકી યુદ્ધ જહાજ મધ્ય-પૂર્વ તરફ જઈ રહ્યાં છે. યુએસએસ ત્રિપોલી, સૈનડિએગો, ન્યૂ ઓરલિયન્સે ત્રણ જહાજમાં 2200 સૈનિક મધ્ય-પૂર્વ તરફ રવાના
થયા હતા. બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની ઈરાનની આઈઆરજીસીના પ્રવક્તા અને ઉપપ્રમુખ
હતા. તેઓને જુલાઈ 2024માં આઈઆરજીસીના
કમાન્ડર ઈન ચીફ હુસૈન સલામીએ આ પદે નિયુક્ત
કર્યા હતા. નૈની પાસે સેકન્ડ બ્રિગેડિયર જનરલનું પદ પણ હતું. આઈઆરજીસી ઈરાનની સૌથી
શક્તિશાળી સૈન્ય અને આર્થિક સંસ્થા છે, જે સીધા સર્વોચ્ચ નેતાને રિપોર્ટ કરે છે. અલી મોહમ્મદ નૈનીનું મૃત્યુ વર્તમાન
સપ્તાહમાં ઈરાનને થયેલું ચોથું મોટું નુકસાન છે. છેલ્લા અમુક દિવસમાં જ ઈરાને પોતાના
ત્રણ પ્રભાવશાળી અધિકારીઓને ગુમાવ્યા છે, જેમાં પૂર્વ સંસદ અધ્યક્ષ
અને સલાહકાર અલી લારીજાની, બાસિઝના પ્રમુખ ગુલામરેઝા સુલેમાની
અને ઈરાનના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખતીબ સામેલ છે. આ દરમિયાન અમેરિકાને ઈરાન યુદ્ધમાં
અત્યાર સુધી 16 ફાઈટર જેટ
અને 10 રીપર ડ્રોનનું નુકસાન થયું
છે.