નવી દિલ્હી, તા. 20 : લગ્ન વિવાદના
એક મામલામાં સુપ્રીમ કોર્ટે એક ધ્યાન ખેંચનારો નિર્દેશ આપતાં પતિને ફટકાર લગાવી હતી.
અદાલતે કહ્યું હતું કે, તમે કોઇ નોકરાણી
સાથે લગ્ન નથી કરી રહ્યા, પરંતુ જીવનસાથી પસંદ કરો છો. ક્રૂરતાના
આધાર પર છૂટાછેડા માગતા પતિને ઠપકો આપતાં સુપ્રીમે કહ્યું હતું કે, પત્ની ઘરનાં કામો પૂરી રીતે નથી કરતી તો તેને ક્રૂરતા ન કહી શકાય. હવે જમાનો
બદલાઇ ગયો છે. તમારે કપડાં ધોવાં, રસોઇ, વાસણ જેવાં કામોમાં પત્નીને થઇ શકે તેવી મદદ કરવી જોઇએ તેવું કોર્ટે કહ્યું
હતું. પતિ ક્રૂરતાના આધારે તેની પત્નીથી છૂટાછેડા માગી રહ્યો હતો. કોર્ટે જણાવ્યું
હતું કે જો પત્ની ઘરનાં કામકાજ યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ જાય, તો તે ક્રૂરતા નથી, સમય બદલાઇ ગયો છે અને પતિએ પણ આ કાર્યોમાં ફાળો આપવો જોઇએ. કોર્ટે શરૂઆતમાં દંપતીને
મધ્યસ્થી કરવા કહ્યું હતું, પરંતુ વસ્તુઓ કામ ન કરી. આ પછી કોર્ટે
તેમને આગામી તારીખે શુક્રવારે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ દંપતીએ 2017માં લગ્ન કર્યાં હતાં અને તેમને
આઠ વર્ષનો પુત્ર છે. આ કેસમાં પતિ અરજદાર છે. તેનો આરોપ છે કે લગ્નના એક અઠવાડિયામાં
જ તેની પત્ની બદલાઇ ગઇ અને તેની સાથે ખરાબ વર્તન કરવા લાગી. તેણે તેના માતા-પિતા સામે
અપશબ્દોનો ઉપયોગ કર્યો. વધુમાં, જ્યારે
તેને રસોઇ બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે રસોઇ બનાવવાની ના પાડી દીધી. દરમ્યાન,
બીજા એક કેસમાં, શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક
ભાગેડુ દંપતી વતી સુરક્ષા અરજી કરાઇ હતી, જેના પર કોર્ટે અરજદારના
વકીલને દિલ્હી હાઇકોર્ટમાં પણ રાહત મેળવવા માટે અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, ભાગેડુ દંપતી માટે સુરક્ષા માટે અરજી દાખલ
કરનાર વકીલ તેમને સુપ્રીમ કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં જ મળ્યા હતા. વકીલે કહ્યું કે,
આ દંપતી સોશિયલ મીડિયા રીલ્સથી પ્રભાવિત થઇને અને એવી ખોટી માન્યતા સાથે
સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા કે, તેઓ કોર્ટ પરિસરમાં લગ્ન કરી
શકે છે અને ભારતના મુખ્ય ન્યાયાધીશ તાત્કાલિક તેમને સુરક્ષા આપશે.