ભુજ, તા. 20 : ચર્ચાસ્પદ મુંદરા કસ્ટોડિયલ
ડેથ કેસમાં આરોપીઓ પૈકીના ફરજમોકૂફ પોલીસ કર્મચારી અશોક લીલાધર કનોદ અને ગફુરજી પીરાજી
ઠાકોર દ્વારા અલગ-અલગ કરાયેલી ટૂંકાગાળાના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી હતી. આરોપી
અશોક કનાદ દ્વારા માતાની બીમારીનું કારણ આગળ ધરીને અને ગફુરજી ઠાકોર દ્વારા પરિવારમાં
લગ્ન હોવાનું કારણ આગળ ધરીને ટૂંકાગાળાના જામીનની માગણી કરવામાં આવી હતી. અત્રેના અધિક
સેશન્સ જજની અદાલત સમક્ષ આ અંગેની સુનાવણી થઈ હતી. બંને આરોપીની ભૂમિકા અને ગુનાની
ગંભીરતા કેન્દ્રમાં રાખીને બંનેની વચ્ચગાળાની જામીનની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
આ સુનાવણીમાં ખાસ નિયુક્ત ધારાશાત્રી રાજકોટના અનિલભાઈ આર. દેસાઈ
તથા ફરિયાદ પક્ષ વતી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી સાથે વાય. વી. વોરા, એ.એન. મહેતા, એચ. કે.
ગઢવી અને એસ. એસ. ગઢવી ઉપરાંત ગઢવી ચારણ સમાજના ભુજના તમામ ધારાશાત્રીઓ હાજર રહ્યા
હતા.