શ્રીનગર, તા. 20 : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા
દિવસોથી પડી રહેલા વરસાદથી જનજીવન ખોરવાયું છે, તે વચ્ચે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં રવિવારે કુદરતી આફટ ત્રાટકી
હતી અને વરસાદ બાદ વાદળું ફાટતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયાં હતાં, 250 જેટલા ઘરને ભારે નુકસાન થયું
હતું અને તે પૈકી ઘણા તો વહી ગયા હતા. અનેક માર્ગ ધોવાઇ ગયા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ
પણ બંધ થઇ ગયો હતો, જ્યારે ભૂસ્ખલન
અને વીજળી પડવાની જુદી-જુદી ઘટનાઓમાં અન્ય છ લોકોએ જીવ ખોયા હતા. આમ, અત્યાર સુધી કુલ નવ લોકોનાં મોત થયાં હતાં. ધર્મકુંડ ગામમાં 40-50 ઘરો ધરાશાયી થયા છે, તો સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઘેરી ચિંતા વ્યક્ત કરવા સાથે રાહત-બચાવ કામગીરી અંગે પ્રશાસનને
નિર્દેશ અપાયા હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરથી ભાજપ સાંસદ ડો.
જિતેન્દ્ર સિંહ પણ ડેપ્યુટી કમિશનરના સતત સંપર્કમાં રહી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
ઉધમપુરમાં પણ ભારે વર્ષાના કારણે અનેક ઝાડ પડી જવા સાથે વીજળી વેરણ બની હોવાનું બહાર
આવ્યું હતું. સતૈની પંચાયતમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિના પગલે જીવન અસ્તવ્યસ્ત થયું
છે. પૂર્વ સરપંચ પરષોત્તમ ગુપ્તાએ કહ્યું હતું કે, અનેક ઝાડ ધ્વસ્ત
થયા છે અને વીજળી પુરવઠો પણ ઠપ છે. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ભારે પવન ફુંકાવાની આ પહેલી
ઘટના છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ રામબન, ઉધમપુર,
પૂંછ અને બારામુલા જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું હતું અને
લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, મુખ્યમંત્રીએ
કુદરતી આફત અંગે તાકીદના પગલાં લેવાઈ રહ્યા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે,
પ્રશાસનના સતત સંપર્કમાં છું, જેથી તાત્કાલિક ધોરણે
રાહત અને બચાવ કાર્યો કરી શકાય. તે ઉપરાંત પુનર્વસનની યોજનાઓની પણ સમીક્ષા કરાશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ
મીડિયામાં કહ્યું હતું કે, ડેપ્યુટી કમિશનર બસીર ઉલ હક ચૌધરી
સાથે સતત સંપર્કમાં છે અને દરેક મદદ પહોંચાડાય તે માટે જરૂર પડે તો ખાનગી સંસાધનોનો
પણ ઉપયોગ લેવાશે તેમ જણાવવા સાથે તેમણે જિલ્લા પ્રશાસનના બચાવ અભિયાનની સરાહના કરી
હતી. જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં શનિવાર
સવારથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. રામબનના ઘણા વિસ્તારોમાં અનેક ઘર ધ્વસ્ત થયા છે.
માન બનિહાલમાં 71 મિમી, કાજી કુંડમાં 53 મિમી, કુકરબાગમાં 43 મિમી, પહેલગામમાં 34 મિમી, શ્રીનગરમાં 12 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે શ્રીનગર દક્ષિણમાં 80-100 મિમી વરસાદ પડ્યો છે. કાશ્મીરમાં
બપોરે કરાં પડવાની અને વાવાઝોડું ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. વર્તમાન સિસ્ટમ
પર નજર રાખતાં હવામાન વિભાગે રવિવારે રેડ એલર્ટ જારી કર્યું હતું, તો સોમવારથી હવામાનમાં સુધારો થવાની શક્યતા
દર્શાવી હતી. અરનાસ વિસ્તારના લમસોરા નંબર બેના એક ખાનાબદોષ પરિવાર પર વીજળી પતાં વધુ
બે લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી. વીજ
પડવાથી 40-50 ઘેટાં-બકરાંનાં પણ મોત થયાં
હતાં. બાગનામાં પણ ઘર પાણીમાં વહી જતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જમ્મુ-શ્રીનગરની
જીવનરેખા ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ઠેર-ઠેર કાદવ-કીચડ અને પથ્થરોનો ખડકલો થયો છે, જેના કારણે મોટાભાગનો માર્ગ લગભગ બંધ થયો છે.
પરિવહન સેવાઓ ખોરવાઈ છે. સેકડોં વાહનો ફસાયા છે. જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો
નથી. અનેક ઘરોમાં પાણી ફરી વળ્યાં છે. બાળકો, વરિષ્ઠો અને બીમાર
લોકોની સ્થિતિ વધુ દયનીય બની છે.