રાપર, તા. 2 : તાલુકાનાં પલાંસવામાં આવેલા
નવા પ્લોટ વિસ્તારમાં અનુ.જાતિ, અનુ.જનજાતિ
તથા કોળી અને ભરવાડ સમાજના આશરે 1000 પરિવાર વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આવવા જવાના રસ્તા પર
વર્ષોથી ગંદકીનો પ્રશ્ન યથાવત્ હોવાથી લોકો ત્રસ્ત થયા છે.વર્ષો પહેલાં અહીં એક ફૂટની
ગટરલાઈન નાખી હતી, પણ એ ચોક-અપ
થતાં પાણીનો નિકાલ બંધ થઈ જતાં ઘરમાંથી નીકળતું પાણી આ મેઈન રસ્તામાં ભરાઈ રહે છે,
જેથી આ રસ્તામાં નાના-મોટા ખાડાઓ
થઈ ગયા છે. ખાડાઓમાં કીચડ થઈ જતાં આ મેઈન રસ્તામાં
આવવા જવામાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. અહીં કોઈ બીમાર હોય તો 108 પણ આવી શકતી નથી. ગંદકી જોઈને
આ વિસ્તારના રહીશોના ઘરે કોઈ મહેમાન આવવા રાજી નથી કે નથી કોઈ દીકરી-દીકરાનો વ્યવહાર
કરવા તૈયાર. વર્ષોથી તકલીફ ભોગવી રહેલા આ વિસ્તારના લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા
છે. ત્રણ દિવસ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા આ લાઈનને રિપેર કરી નવા પાઈપો જે સાઈઝના
છે, એ જ સાઈઝના નાખવા આવ્યા હતા, પરંતુ આ સાઈઝના પાઇપમાં આ વિસ્તારનું પાણી જવા માટે સાઈઝ નાની પડતી હોઈ બે
ફૂટની પહોળાઈવાળા પાઈપ નાખવા રજૂઆત કરાઈ હતી.
સરપંચ દ્વારા `તમે કહેશો
એમ નહી થાય, અમે કરીશું એમ જ થશે'
એમ જણાવવામાં આવતાં બોલાચાલી અને રકઝક થતાં લોકોએ કામને અટકાવ્યું છે.
આ સમસ્યાનો કાયમી નિકાલ ત્યારે આવશે જ્યારે અહીં એક ફૂટની લાઈન કાઢી બે ફૂટ અથવા ત્રણ
ફૂટની પહોળાઈવાળી લાઈન નાખવામાં આવે. આ સમસ્યામાંથી છુટકારો અપાવવા આ વિસ્તારનાં રહીશો
દ્વારા કલેક્ટર સહિત વિવિધ વિભાગોમાં પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.