નવી દિલ્હી, તા. 2 : જમ્મુ-કાશ્મીરના
કિશ્તવાડ જિલ્લામાં આજે બે જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. પહેલું વાદળ સરથલના ગહન
વિસ્તારમાં ફાટ્યું અને બીજું માછીપાલ વિસ્તારમાં ફાટ્યું હતું. કેટલાક વિસ્તારોમાં
ભૂસ્ખલનનાં કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં કોઈના મૃત્યુની
માહિતી મળી નથી. પોલીસ, રેડ ક્રોસ,
રેવન્યુ વિભાગ અને અન્ય એજન્સીઓની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે સ્થાનિક લોકો સાથે સતત
સંપર્ક રાખવામાં આવી રહ્યો છે, જેથી જરૂર પડ્યે તરત જ મદદ પહોંચાડી
શકાય. બીજી તરફ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આંધી-વરસાદના કારણે
5 લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશના નીમચમાં
સોમવાર રાત્રે ઘરની છત ધરાશાયી થવાથી મા-બેટાના મોત થયા છે. જ્યારે રાજસ્થાનના જેસલમેર
અને બાડમેરમાં દીવાલ પડવાથી બે બાળકો સહિત 3 લોકોના જીવ ગયા છે.