ગોલ, તા. 13 : ભારત-શ્રીલંકા વચ્ચે ગોલમાં
શનિવારથી રમાનારી પ્રથમ ટેસ્ટની ભારતીય ઇલેવન વિશે મોટો સંકેત સામે આવ્યો છે. ટીમ ઇન્ડિયાના
બોલિંગ કોચ મોર્ને મોર્કલે કહ્યું છે કે, પ્રથમ ટેસ્ટમાં ત્રણ ડાબોડી સ્પિનરને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. કુલદીપ
યાદવ, રવીન્દ્ર જાડેજા અને માનવ સુથારની બોલિંગ અલગ-અલગ શૈલિની
છે. ગોલની પીચ અને પરિસ્થિતિ જોતા ભારતીય ટીમ આ ત્રણ ડાબોડી સ્પિનરના સહારે શ્રીલંકન
બેટર્સ પર દબાણ બનાવવામાં સફળ થઇ શકે છે. અમારી પાસે અન્ય પણ મજબૂત વિકલ્પ છે,
તેવું મોર્કલનું કહેવું છે. પત્રકાર પરિષદમાં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ
મોર્ને મોર્કલે ત્રણેય ડાબાડી સ્પિનરની ક્ષમતા પર વાત કરી હતી. તેમણે કહ્યું કુલદીપ
યાદવ કાંડાના સ્પિનર છે. તે બેટધરોને થાપ આપવામાં સક્ષમ છે જ્યારે રવીન્દ્ર જાડેજા
પાસે સચોટ લાઇન-લેન્થ છે. જેથી બેટર્સ દબાણમાં રહે છે જ્યારે માનવ સુથાર પરંપરાગત શૈલિનો
ડાબોડી સ્પિનર છે. જે દડાને વધુ ટર્ન કરવાની ક્ષમતા રાખે છે. મોર્કલે કહ્યું હતું કે,
ત્રણેય સ્પિનર પાસે વિવિધતા હોવાથી તેમની પાસે 20 વિકેટ લેવાની ક્ષમતા છે. જો કે અંતિમ ફેંસલો કપ્તાન શુભમન ગિલની સાથે ચર્ચા
કર્યા બાદ લેવામાં આવશે. ગોલની પીચને જોતા હાલ તો ત્રણ સ્પિનર સાથે ઇલેવનની રણનીતિ
પર વિચારણા ચાલી રહી છે. મોર્કલના સંકેત બાદ ભારતીય ઇલેવનમાં બે ઝડપી બોલર હશે. મોહમ્મદ
સિરાજ નિશ્ચિત છે. બીજા ઝડપી બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બ્રારમાંથી એકની
પસંદથી થશે. મોર્કલે વધુમાં જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં બોલર્સ માટે ફક્ત કૌશલ જ
નહીં માનસિક મજબૂતી પણ ઘણી મહત્ત્વની બની રહે છે કારણ કે લાંબા સ્પેલ ફેંકવાના હોય
છે.