નવી દિલ્હી, તા. 13 : કોંગ્રેસ
સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે કરેલાં નિવેદન બાદ ભારે
રાજકીય ચર્ચા જામી છે. રાહુલે કહ્યું હતું કે, જે દિવસે આરએસએસની અભિવ્યક્તિને દેશથી બહાર કરવાની કોશિશ શરૂ થશે તો હું સંઘની
પણ રક્ષા કરીશ. કારણ કે, સંઘને પણ અભિવ્યક્તિની આઝાદી છે. અમારું
કહેવું છે કે, આપણા દેશમાં દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય હોવું
જોઈએ. અમે કોઈને પણ રોકવા નથી માગતા, તેવું રાહુલે કહ્યું હતું.
લોકસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, આ દેશ અભિવ્યક્તિ
કરવાનું નહીં છોડે, દેશને અભિવ્યક્ત થતો રોકી નહીં શકાય,
તે હકીકત હવે સરકારને પણ સમજાઈ ગઈ છે. ભારતમાં ઘણા લોકો `કાયર દળ'ના ડરથી કાયરો જેવું વર્તન કરે છે, બોલતા નથી,
બોલી નથી શકતા, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા.
જંતરમંતર પર પ્રદર્શન કરતા છાત્રો પણ પોતાની વાત કહેવા માગતા હતા, તકલીફમાં હતા, પરંતુ સરકાર કહે છે કે, ના, આપ આપની વાત રાખી નથી શકતા, તેવું તેમણે કહ્યું હતું. દરમ્યાન, વડાપ્રધાન નરેન્દ્ર
મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કરતાં કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે,
નરેન્દ્ર મોદી રાત્રે સૂતા નથી, અમે તેમને પાગલ
કરી દઈશું. અમિત શાહને ચાણક્ય, સરદાર વલ્લભભાઈ પટેલ લેખાવતા હતા,
પરંતુ તેઓ ગાયબ થઈ ગયા. શાહ 20 દિવસ સુધી સંસદમાં આવી નથી શક્યા, તેવા પ્રહારો કોંગ્રેસ સાંસદે કર્યા હતા.