નવી દિલ્હી, તા. 13 : લાલ કિલ્લા
પાસે થયેલા ખતરનાક બોમ્બ ધડાકા આતંકવાદી સંગઠન અલ-કાયદાએ જ કરાવ્યા હતા, તેવો ખુલાસો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના
38મા અહેવાલમાં કરાયો હતો. રાજધાનીમાં 10મી નવેમ્બર, 2025ની સાંજે
લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયાં હતાં, તો અન્ય અનેક ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર અલ-કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનન્ટ
(એક્યુઆઈએસ)એ આ લોહિયાળ ધડાકાને અંજામ આપ્યો હતો. યુનોની સુરક્ષા પરિષદના અહેવાલ અનુસાર
એક્યુઆઈએસ નાના-નાના સેલ મારફતે કામ કરે છે. તેણે પોતાનું આર્થિક નેટવર્ક તૈયાર કરી
લીધું છે. આ આતંકવાદી સંગઠન બાંગલાદેશમાં પણ પોતાના ઘાતક સેલ બનાવવાની કોશિશ કરી રહ્યું
છે, તેવું અહેવાલ નોંધે છે. અલ-કાયદાની આવી ઘાતક ગતિવિધિઓને સંયુક્ત
રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અહેવાલમાં ક્ષેત્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય લેખાવાઈ
છે. અગાઉ યુનો સુરક્ષા પરિષદના 37મા અહેવાલમાં એક સભ્ય દેશે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ બતાવ્યો
હતો. જો કે, એનઆઈએ ચાર્જશીટમાં અલ-કાયદાનું
જ નામ છે.