ચમોલી, તા. 13 : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં
ગુરુવારે મોડી સાંજે મોટી દુર્ઘટના બની હતી. જેમાં વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની
નિર્માણાધીન ટનલમાં અચાનક જ ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન 22 જેટલા શ્રમિક ટનલમાં ફસાયા
હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા હતા. જેમાંથી 16 શ્રમિકને બહાર કાઢીને તત્કાળ નજીકની હોસ્પિટલે લઈ જવાયા હતા.
પ્રાથમિક જાણકારી અનુસાર ઘટના સાંજે સવા છ વાગ્યે બની હતી. જેમાં નિર્માણાધીન ટનલમાં
અચાનક જ ભારે માત્રામાં કાટમાળ અને પાણી આવી ગયું હતું. જેને જોઈને શ્રમિકોમાં હડકંપ
મચ્યો હતો. ભૂસ્ખલન અને પાણીની ઝડપ એટલી હતી કે અંદાજીત 22 શ્રમિક અંદર જ ફસાયા હતા. બનાવની
જાણકારી મળતા જ રાહત અને બચાવ ટીમ તત્કાળ સ્થળ ઉપર પહોંચી હતી અને રાહત બચાવ અભિયાન
શરૂ કર્યું હતું. જેમાં 16શ્રમિકને
બહાર કાઢવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ દરમિયાન પુષ્કરસિંહ ધામીએ ઘટના
ઉપર ચિંતા વ્યક્ત કરી હતી અને યુદ્ધસ્તરે રાહત અને બચાવ કામગીરી કરવાનો નિર્દેશ આપ્યો
હતો. સીએમએ કહ્યું હતું કે, બનાવની ગંભીરતાને
ધ્યાને રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તત્કાળ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી
હતી. તેઓ પોતે પણ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.