ગાંધીધામ, તા. 28 : ગાંધીધામ - આદિપુરમાં રાહદારીઓને
ચાલવા માટે શહેરનાં નિર્માણ સમયે જ દુકાનની આગળ ફૂટપાથ બનાવવામાં આવી હતી. સમય જતા
પ્રશાસનની નિક્રિયતાનાં કારણે આર્કેડ ઉપર પાકાં બાંધકામ કરીને અથવા માલસામાન રાખીને
દબાણો ખડકી દેવાયાં હતાં. મહાનગરપાલિકા બન્યા બાદ મુખ્ય બજારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ
કરવામાં આવી હતી. લોકોએ આ કામગીરી બિરદાવી હતી, પરંતુ ફરી મહાપાલિકા તંત્રની નિક્રિયતા બાદ આર્કેડ ઉપર માલસામાન ગોઠવી દેવામાં
આવ્યો છે, જેના કારણે ફરી રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. આ
ઉપરાંત અત્યારે ફૂટપાથો બનાવવામાં આવી છે, તેમાં પણ દબાણો થઈ
ગયાં હોવાનો જાણકારો આક્ષેપ કરી રહ્યા છે. શિવાજી પાર્ક રોડ ઉપર કેબિનો ગોઠવાઈ ગઈ છે તેમજ અમુક માર્ગો ઉપર મહાપાલિકા
દ્વારા દબાણ હટાવ્યાં વગર જ રોડ બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે, તો ત્યાં ફૂટપાથ કેવી રીતે બનાવશે તેઓ સવાલ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા
છે. હાલ ચોમાસા સુધી દબાણ હટાવ ઝુંબેશ ઉપર જ મહાપાલિકા દ્વારા બ્રેક લગાડવામાં આવી
છે. માર્ગના વિસ્તૃતીકરણની કામગીરીમાં નડતાં દબાણો પણ હટાવવામાં આવતાં ન હોવાનું સૂત્રો
જણાવી રહ્યા છે.