વિપક્ષી નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર - વડા પ્રધાન નરેન્દ્ર
મોદી સામે નવા મોરચા ખોલી રહ્યા છે. જંતર-મંતરના દેખાવકારો ઉપર `પોલીસદમન'ની તપાસ માટે સુપ્રીમ કોર્ટે વિશેષ ઉચ્ચ કક્ષાની
તપાસ સમિતિ નીમી છે તે છતાં, તપાસ સમિતિને હાંસિયામાં રાખીને
રાહુલ ગાંધીએ સંસદ માર્ગ ઉપરના પોલીસ મથકે ધરણા કર્યા અને પોલીસ સામે ફરિયાદ નોંધવાની
ફરજ પાડીને `િવજય' બતાવ્યો! આ પછી પુણેમાં એમણે મહિલા મોરચો ખોલ્યો
છે! રાહુલ ગાંધીએ `છાત્રોં કી
ગૂંજ' અભિયાનમાં કોટા, દેહરાદૂન
અને પ્રયાગરાજમાં યુવાસભાઓ ગજાવ્યા પછી પુણેમાં વિદ્યાર્થિનીઓ અને મહિલાઓની સભામાં
કહ્યું કે `70 કરોડ મહિલાઓ
ભારતની સૌથી મોટી સંપત્તિ છે, શક્તિ
છે. `કોઈ'
ભલે એવા દાવા કરે કે અમારું અર્થતંત્ર મજબૂત છે અને અમારી સંરક્ષણસેના
સૌથી મોટી - વધુ શક્તિશાળી છે: પણ હું તો અમારી મહિલા શક્તિ જ સૌથી મોટી - છે આ બાબતમાં
હું તદ્દન સ્પષ્ટ છું'... પુણેની સભામાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી
વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ ઉમટી હતી અને રાહુલ ગાંધીનાં વિધાનોને હર્ષનાદોથી વધાવ્યાં
હતાં, રાહુલ ગાંધીએ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે મહિલાઓ
કદી સ્વતંત્ર હોઈ શકે નહીં એવી સલાહ - સ્વીકાર્ય નથી. મહિલાઓ પોતાની જાત સિવાય કોઈની
માલિકીની, સેવાદાર નથી. મહિલાઓની આઝાદી અને શક્તિનું `ભાન'
કરાવતા હોય એમ રાહુલ ગાંધીએ જંતર-મંતરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું વડા
પ્રધાન મોદીને મહિલાઓના કઠોર શબ્દો સામે વાંધો છે પણ પુરુષોની ભાષાનો સાંસ્કૃતિક આઘાત
લાગતો નથી! આમ કહીને એમણે મહિલાઓ પ્રતિ પક્ષપાત હોવાનો આક્ષેપ કર્યો છે. સરકારનું માનસ
મનુસ્મૃતિથી પ્રભાવિત હોવાનું જણાવ્યું છે! રાહુલ ગાંધીએ નાટકીય ઢબે - જે વિદ્યાર્થિનીઓ
આવા ભેદભાવનો, હેરાનગતિનો ભોગ બની હોય, શિક્ષણમાં પેપર લીકના કારણે સહન કરવું પડયું હોય તેમને મંચ ઉપર બોલાવીને મનુસ્મૃતિ
માનસ પ્રતિ વિરોધ પ્રદર્શિત કર્યો. મોદી સરકાર સામે રાહુલ ગાંધી મોરચા ખોલી શકે છે,
આક્ષેપો કરી શકે છે પણ લોકસભામાં મહિલા આરક્ષણના ખરડાનો વિરોધ કર્યો
છે. અન્ય સાથીપક્ષોને પણ સમજાવીને સમર્થન આપવાથી રોક્યા છે! આ તાજેતરનો અનુભવ શું મહિલાઓ
અને વિદ્યાર્થિનીઓ ભૂલી જશે? વાસ્તવમાં સંસદમાં મહિલા આરક્ષણનો
વિરોધ કર્યા પછી પુણેમાં ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ થયો છે. દરમિયાન સંસદનું વર્ષાસત્ર
સમાપ્ત થયું હોવાની ઘોષણા રાષ્ટ્રપતિએ હજુ કરી નથી એટલે વિપક્ષોને શંકા છે કે સ્પીકર
ફરીથી બેઠક બોલાવીને સીમાંકન તથા મહિલા આરક્ષણનો ખરડો પસાર કરાવવા માગે છે. જો આવી
શંકા સાચી પડે અને ખરડો ફરીથી આવે તો રાહુલ ગાંધી વિરોધ કરશે ખરા?