આડેસર, તા. 27 : સમગ્ર ગુજરાતમાં ફાટક મુકત
બનાવવાના હેતુથી અંડર બ્રીજ અને ઓવર બ્રીજ બનાવવામાં આવે છે. આ માળખાકીય કામોથી લોકોને
સુવિધા મળે છે પરંતુ અંડર બ્રીજ ચોમાસામાં બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે
છે. રાપર તાલુકાના ભંગેરા જવાના રસ્તે ઓવરબ્રીજમાં પાણી ભરાતા માર્ગ અવરોધાયો છે. અને
લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ ભંગેરા ગામ વચ્ચેથી નીકળતી
રેલવે લાઇનમાં ગામમાં આવવા જવા થોડા સમય પેલા રેલવે ફાટક બંધ કરી ગરનાળું મૂકવામાં
આવ્યું હતું. જેમાંથી ગામમાં આવવા જવા માટે અને વાહન વ્યવહાર માટે માત્ર ને માત્ર એક
જ રસ્તો છે. તાજેતરમાં પડેલા વરસાદથી પાણી ભરાઈ જતાં બંધ થઈ ગયો હતો. રેલવે દ્વારા
મશીન થી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી બે દિવસ સુધી ચાલી હતી. અને માંડ
રસ્તો ચાલુ થયો ત્યારે ગત રાત્રીના ફરી વરસાદ થતા વરસાદ થતાં એ જ હાલાકી ઊભી થઈ છે.
ફરી રેલવે દ્વારા પાણી મશીન મૂકીને કાઢવામાં આવી રહ્યું છે. રેલવે તંત્ર સતર્ક છે પણ
પાણી કાઢવાની કામગીરી પુરી ના થાય ત્યાં સુધી વાહનવ્યવહાર બંધ સંપૂર્ણ બંધ રહે છે.
આ સમયમાં કોઈ ઇમરજન્સી ઊભી થાય તો ગામલોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. રેલવે વિભાગે
આ સમસ્યા બીજીવાર ઉભી ના થાય તે માટે ગરનાળાની ડીઝાઈનમાં કોઈ ફેરફાર કરીને નક્કર રસ્તો
કાઢવામાં આવે તેવી માંગ ગામના લોકો કરી રહ્યા છે.