ભુજ, તા. 27 : રાજ્ય સરકારે સોમવારે જહાજ
નિર્માણ અને મરંમતનીતિ લોંચ કરી હતી, ત્યારે લાંબા સમયથી વિકાસથી વંચિત માંડવી બંદરનું નામ ભુલાયું હોવાનું જણાઇ
રહ્યું છે. દેશી વહાણ બાંધણીમાં માંડવીના મિત્રીઓનાં કૌશલ્યની દેશ-વિદેશમાં નામના છે.
છેલ્લા 28 વર્ષથી સૂના પડેલા આ બંદરીય
નગરના જહાજવાડા ધમધમાટ ઝંખી રહ્યા છે. વીતેલાં વર્ષે કચ્છ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ જાહેર સંબોધનમાં માંડવીમાં જહાજ નિર્માણની વિપુલ સંભાવનાઓ અંગે વાત
કરતાં બંદરીય નગરના લોકોની આંખોમાં આશા અંજાઇ હતી.